મોરબીના દેવ અપહરણ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

- text


મોરબી એલસીબીએ અપહરણ સમયે બાઈક ચલાવનાર જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે આદિત્ય સ્વામિનારાયણને હોથીપીરની જગ્યા નજીકથી દબોચ્યો

મોરબી : મોરબીના ચકચારી દેવ અપહરણ કેસમાં બે આરોપી ઝડપાઇ ગયા બાદ આજે એલસીબીની ટીમે આ અપહરણકાંડમાં સંડોવાયેલ અને અપહરણ સમયે બાઈક ચલાવનાર હિન્દુસ્તાન સિક્યુરિટી એજન્સીના ગાર્ડને લીલાપર રોડ હોથીપીરની જગ્યા નજીકથી દબોચી લેવામાં સફળતા મેળવી છે.

- text

ખંડણીના ઇરાદે મોરબીમાં બનેલ ચકચારી દેવ અપહરણ કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે ત્યારે જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે તમામ ટીમોને આ અપહરણ કેસમાં સંડોવાયેલ અને પકડવાના બાકી છે તેવા ચાર આરોપીઓને ઝડપી લેવા આદેશ જારી કરતાં એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસની ટીમ સતર્ક બની બતમીદારોને કામે લગાડ્યા હતા જેમાં એક આરોપી લીલાપર રોડ પર આવેલ હોથીપીરની જગ્યા નજીક હોવાની બાતમી પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને નંદલાલભાઈ વરમોરાને મળતા ઉક્ત સ્થળે છાપો મારી આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે આદિત્ય સ્વામિનારાયણ જગદીશભાઈ ચરોતરા ઉ.૨૨, રે.બોટાદ, હાલ હિન્દુસ્તાન સિક્યોરિટી ઓફીસ મહેન્દ્રનગર વાળાને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. આ આરોપી અપહરણ સમયે બાઈક ચલાવતો હતો.

આમ, ચર્ચાસ્પદ બનેલા મોરબીના દેવ અપહરણ કેસમાં પોલીસની સક્રીયતાથી ગણતરીની કલાકોમાં વધુ એક આરોપી ઝડપાઇ ગયો છે. જો કે હજુ મુખ્ય કાવતરાખોર વિજય પટેલ પકડવાનો બાકી હોય સૂત્રધાર ઝડપાયા બાદ અનેક ચોંકવનારી વિગતો ખુલશે.

- text