કહેવાય છે કે જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે, તેના ભંડાર સદા ભર્યા રહેશે

- text


આજે અક્ષય તૃતીયાનું પર્વ : જાણો.. તેનું મહત્વ અને વ્રત કથા

મોરબી : વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણ કે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન, અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી. તેથી આને ‘અક્ષય તૃતીયા’ અથવા અખા ત્રીજ કહે છે. આ દિવસે જે પણ શુભકાર્ય કરવામાં આવે તેનું ખૂબ જ સારુ ફળ મળે છે. આ વ્રત દાનપ્રધાન વ્રત છે. આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનુ મહત્વ છે. આ દિવસથી સતયુગ શરૂ થાય છે. તેથી, આને યુગાદિ ત્રીજ પણ કહે છે.

અક્ષય તૃતીયા સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ છે કોઈ પણ વસ્તુનો ક્ષય કે વિનાશ ન થાય. એવી વસ્તુઓ જેનો ક્યારેય અંત આવતો નથી. જે લોકો લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે શુભ સમયની રાહ જોઈ રહ્યા છે, તેઓ અક્ષય તૃતીયાના દિવસે તે શુભ કાર્ય કરી શકે છે.


અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત

અક્ષય તૃતીયાનું પાવન પર્વ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસ ઘણી રીતે શુભ માનવામાં આવે છે. આ દિવસે નવા કાર્યોની શરૂઆત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, સાથે જ આ તિથિ ખરીદી માટે ખુબ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે માંગલિક કાર્યો કરવામાં આવે છે જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ, નવા કાર્યોની શરૂઆત અથવા વાહન ખરીદી. આ તમામ કાર્યો માટે અક્ષય તૃતીયા ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


અક્ષય તૃતીયાની વ્રત કથા

દેવપુરી નગરીમાં ધરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુસંતોને ઘરે બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘરે બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજે કીડીયારુ પૂરતો.

ધરમચંદની આ ધર્મ-ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા – હે ધર્મિષ્ઠ વણિક ! તુ હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘણું દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જનમોજનમ તારુ આ પુણ્ય તને કામ આવશે.

- text

અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ધરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગાસ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃધ્ધિનું દાન કર્યુ. ધરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી.

સર્વસ્વનું દાન કરી ધરમચંદ પૂર્ણ શ્રધ્ધાથી પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃધ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃધ્ધિ બમણી થતી હતી.

આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જનમભર વંધ્યા રહી.


- text