- text
દિકરાના મિત્રોએ સળગાવેલી ચપ્પલો ભરેલી રેંકડીથી દાઝી ગયેલા વૃધ્ધ મનુભાઇનું રાજકોટમાં સારવારમાં મોત
મોરબી : મોરબીમાં દિકરાના મિત્રોએ નજીવી બાબતે ઝઘડો કર્યા બાદ ચપ્પલો ભરેલી રેંકડી સળગાવતા દાઝી ગયેલા વૃધ્ધ મનુભાઇનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે મોરબી પોલીસને રાજકોટ પોલીસે જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રામકૃષ્ણનગરમાં રહેતાં મનુભાઇ ખોડાભાઇ ડુંગરા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધના પુત્ર નવઘણ સાથે તેના મિત્રો વેલા રાવળ અને જયુભાએ ફોન કેમ ઉપાડતો નથી કહી ઝઘડો કર્યા બાદ આ શખ્સો નવઘણને શોધવા આવ્યા હતા અને વૃધ્ધના અન્ય પુત્રની ચપ્પલોની ફેરી માટેની રેકડી સળગાવતા ઘરે કોઇ ન હોઇ પગમાં ફ્રેકચર હોવાથી મનુભાઇ ઢસડાતા ઢસડાતા રેકડી પાસે પહોંચતા સળગતી રેંકડી અને તેમાં ભરેલા ચપ્પલોને કારણે પગ-હાથમાં દાઝી ગયા હતાં બાદમાં વૃધ્ધે રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
- text
આ બનાવમાં મોરબી બી-ડિવીઝન પોલીસે આજે રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર મનુભાઇ ખોડાભાઇ ડુંગરા (ઉ.વ.૬૦)ના પત્નિ ગોૈરીબેન મનુભાઇ ડુંગરા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી મોરબીના વેલા રાવળ અને જયુભા દરબાર તથા બે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૩૫, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.સામાપક્ષે વેલા રાવળે પણ નવઘણ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી, આ ઘટનામાં દાઝી ગયેલા વૃઘ્ધનું રાજકોટમાં મૃત્યુ નિપજતા રાજકોટ પોલીસે મોરબી પોલીસને જાણ કરતા હાલમાં મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- text