દુનિયાને ઉંધા ચશ્મા પહેરાવનાર રીયલ તારક મેહતાનો આજે જન્મદિવસ

- text


એક્શન રિપ્લે નામે તેમની આત્મકથા નિખાલસ કબુલાતના સંદર્ભે નોંધનીય છે

મોરબી : હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે. પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક ‘દુનિયાને ઉંધા ચશ્મા’ના આધારે તૈયાર થઇ છે. દુનિયાને ઉંધા ચશ્મા પહેરાવનાર રીયલ તારક મેહતાનો આજે જન્મદિવસ છે.

તારક જનુભાઈ મહેતાનો જન્મ અમદાવાદમાં ૨૬ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ થયો હતો. તેઓ પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા. ઇ.સ. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ઇ.સ. ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું, ઇ.સ. ૧૯૫૮માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

તેઓ ઇ.સ. ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી, ઇ.સ. ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી અને ઇ.સ. ૧૯૬૦થી ઇ.સ. ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાંતલેખક અને ગૅઝેટેડ અધિકારી રહ્યા હતા. તેમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી, દુનિયાને ઊંધા ચશ્મા, કોથળામાંથી બિલાડું ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ અને તારક મહેતાનાં છ એકાંકીઓ આપ્યાં છે. તારક મહેતાના ઊંધા ચશ્મા, શ્રેષ્ઠ હાસ્યરચનાઓ, તારક મહેતાનો ટપુડો, તારક મહેતાના ટપુડાનો તરખાટ, દોઢ ડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસેમાં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ નોંધનીય છે.

- text

તારક મહેતા વર્ષ ૨૦૦૦ની સાલ પછી અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્ની ઇલા પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં. તારક મહેતાને વર્ષ ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ વર્ષ ૨૦૧૧માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો અને વર્ષ ૨૦૧૭માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો. તેમનું અવસાન ૦૧ માર્ચ, ૨૦૧૭ના રોજ થયું હતું.

- text