મોરબીમાં તમાકુ મુક્તિ અભિયાનમાં અનેક લોકોએ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી

- text


મોરબી : મોરબીમાં સામાજિક તંદુરસ્તીની ખેવના કરતા, મોરબીના કોમન મેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાનના ત્રીજા ચરણની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા અનેક વ્યક્તિઓ જોડાયા હતા. તમામ સભ્યોએ સંતાનના સોગંદ લઈ તમાકુનું વ્યસન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સંકલ્પબદ્ધ થયા હતા.

કોમન મેન ફાઉન્ડેશનના આ વિશિષ્ટ અને કસોટી કારક અભિયાનમાં મોરબીના વિવિધ મેડિકલ શાખાના ડોક્ટરો જોડાયા છે. જેમણે વક્તવ્યો દ્વારા તમાકુના સેવનથી પેદા થતી જીવલેણ બીમારીઓ જેમકે કેન્સર વિશે સભ્યો અને શ્રોતાઓને માહિતગાર કર્યા. આ ઉપરાંત તમાકુ છોડવાથી થતી અતિ સામાન્ય અને મન ઘડંત આડ અસરો વિશે વિસ્તૃત છણાવટ કરી તમાકુ છોડવા પ્રેરિત કર્યા હતા. આ મિટીંગમાં ફિઝિશિયન ડો. વિજય ગઢીયા, ડો. દીપક અઘારા, સાઇકીયાટ્રીક ડો. ધર્મેશ મણિયાર, ડો. દીપ ભાડજા, ડો. ભવ્ય ભાલોડીયા, ચેસ્ટ ફિઝિશિયન ડો. ભાવિન ગામી, ડેન્ટિસ્ટ ડો. વિપુલ કોટેચા વગેરેએ વક્તવ્ય આપ્યા હતા. તદુપરાંત તમાકુ છોડવાથી કોઈ પણ માનસિક, શારીરિક આડઅસર થાય તો વિના મૂલ્ય સારવાર કરવાનું વચન આપ્યું હતું.

સમગ્ર મિટીંગનું સંચાલન મોરબીની પીજી પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબીના વધુ ને વધુ નગરજનો તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા અને અન્યને મુક્ત કરાવવા આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કોમન મેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

- text

- text