કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, અર્થશાસ્ત્રી તેમજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ

- text


બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કરેલા

મોરબી : ભીમરાવ આંબેડકર એટલે કે ડો. બાબાસાહેબ આંબેડકરની આજે તા. 06 ડિસેમ્બરના રોજ પુણ્યતિથિ છે. તેઓ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ઇ.સ. 1990માં નવાજવામાં આવ્યા હતા

ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ, 1891માં મહુ, મધ્યપ્રદેશ મુકામે એક સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા-પિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ 06 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર

ઇ.સ. 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. 09 ડિસેમ્બર, 1946માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકરે ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. 29 એપ્રિલ, 1947માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી.

- text

ભારતના ભાગલા પછી ભારત અને પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને 03 ઓગસ્ટ, 1947માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી, 1948ના છેલ્લા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે 15 એપ્રિલ, 1948માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું.

ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે 06 માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. 04 નવેમ્બેર, 1948ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં 315 કલમો અને 08 પરિશિષ્ટ હતા. 26 નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. 26 જાન્યુઆરી, 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

ઇ.સ. 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ, 1952માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. 01 જૂન, 1952એ તેઓ ન્યુયોર્ક ગયા અને 05 જૂન, 1952ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ્ચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી. 12 જાન્યુઆરી, 1953ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર”ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. 06 ડિસેમ્બર, 1956ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.

- text