દ્વારકા પગપાળા જતા મોરબીના રવાપરના પટેલ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મૃત્યુ

- text


કાર ચાલકે હડફેટે લેતા રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે જ આજે સવારે બનેલ દુર્ઘટના, એક ગંભીર

મોરબી : મોરબીથી દ્વારકા પગપાળા જતા મોરબીના રવાપરના પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી નજીક રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે જ કાર ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતાં એક જ કુટુંબના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની આ ગોઝારી દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયા ગત તા.12ના રોજ મોરબીના રવાપરથી દ્વારકા પદયાત્રા કરી દર્શનાર્થે જવા નીકળ્યા હતા. દરમિયાન આજે સવારે આ પદયાત્રિકો જામનગર – ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા ત્યારે જીજે – 02 – ડીએમ – 5918 નંબરની કારના ચાલકે મોરબીના એક જ કુટુંબના ચારેય લોકોને હડફેટે લેતા ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

- text

વધુમાં અકસ્માતના આ બનાવની જાણ થતાં મૃતક રમેશભાઈ ભાડજાના પુત્ર પ્રતિકભાઈ જામનગર દોડી ગયા હતા અને અકસ્માતની આ ઘટનામાં તેમના પિતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, મામાના દીકરા પરેશભાઈ લિખિયા, અદા કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનું મૃત્યુ નીપજ્યું હોવાનું તેમજ પ્રતિકભાઈના મામા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયાને ગંભીર ઇજાઓ પહોંચતા હાલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલમાં અકસ્માતના આ બનાવ અંગે પડાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા કાર્યાવહી શરૂ કરી છે.

- text