ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધની..

- text


બહેનો ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે

મોરબી : હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ એટલે કે કારતક સુદ બીજને દિવસે ભાઈબીજ આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.

ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે. આ દિવસે બહેન ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે. ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ બહુ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા, મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે.

ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનું. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવે છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો.

- text

આ દિવસે બહેન પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટની કીંમત મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી હોય છે. પણ ભાઈનું પરીવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરીયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે.

રક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈપણ વિધ્ન આવી શકતુ નથી. ભાઈ-બહેનનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.

- text