- text
રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાલ શરૂ
મોરબી : સસ્તા અનાજના દુકાનદારોને મહિને રૂપિયા 20 હજાર કમિશન આપવા મિડ઼ે આજથી મોરબી સહીત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ સરકાર સામે લડત શરૂ કરી હડતાલનું એલાન કર્યું છે જેને પગલે ગરીબોના દિવાળીના તહેવારો બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આજથી મોરબીના 283 સહિત રાજ્યના 17 હજાર દુકાનદારોએ રાજ્યવ્યાપી હડતાલનુ એલાન કર્યુ છે.
મોરબી જિલ્લા એફપીએસ એસોશિએશન પ્રમુખ પંકજભાઈ સબાપરાએ હડતાલ અંગે જણાવ્યું હતું કે, વ્યાજબી ભાવના દુકાનદારોની રજૂઆત છેકે, અસહ્ય મોઘવારીમાં ઓછા કમિશનને કારણે દુકાનદારોને ઘરનિર્વાહ કરવું પોષાય તેમ નથી. ગુજરાત કરતાં અન્ય રાજ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણી અગાઉ પણ વ્યાજબી ભાવના દુકાનદારોએ હડતાલ પાડી હતી ત્યારે પણ કમિશન વધારવા માટે સરકારે ખાતરી આપી હતી અને નાના દુકાનદારોને મહિને 20 હજાર કમિશન આપવા સહમતી સધાઈ હતી પરંતુ સરકારે ગણ્યા ગાંઠ્યા દુકાનદારોને જ કમિશન આપતા દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે.
- text
વધુમાં રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા કિમશનમાં મુદ્દે કોણીએ ગોળ ચોંટાડીને દુકાનદારો સાથે માત્ર વાયદાબાજી કરવામાં આવી રહી હોવાનો સુર ઉઠ્યો છે.આ ઉપરાંત 50 કિલોની અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવે છે જે દુકાનદારોને પોષાતુ નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટને બદલે વળતર આપવા ઇચ્છુક જ નથી. દુકાનદારોનો આરોપ છેકે, ઓનલાઇન સિસ્ટમ પાછળ અત્યાર સુધી કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે તેમ છતાંય વારંવાર સર્વર ખોટકાઇ રહ્યુ છે જેથી દુકાનદારો ઉપરાંત કાર્ડધારકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે પંકજભાઈ સબાપરા, મોરબી તાલુકા એફપીએસ એસોશિએશન પ્રમુખ આપાભાઈ, અગ્રણી જવાહરભાઇ અને ઉગાભાઇ રાઠોડે સહિતના દુકાનદારોએ રાજ્ય સરકાર પ્રશ્ન નહીં ઉકેલે ત્યાં સુધી વ્યાજબી ભાવની દુકાનોને તાળા લાગેલા રહેશે. દુકાનદારો અનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
- text