મોરબીમાં આગામી બે માસ જનભાગીદારીથી ‘સ્વચ્છતા અભિયાન ચાલશે

- text


મોરબીની સાફ સુથરું બનાવવા હાથ ધરાશે ઝુંબેશ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતની સાથે મોરબીને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આગામી બે માસ એટલે કે 8 સપ્તાહ સુધી ચાલનારા ”સ્વચ્છતા એજ સેવા” અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાનને વેગ આપવા મોરબી તારીખ 15 ઓક્ટોબરના રોજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સફાઈ કરી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ હેરિટેજ બિલ્ડીંગ પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા નદી-તળાવ, પાણીના સ્ત્રોતો અને સમુદ્ર કિનારા વગેરે જગ્યાઓ પર સફાઈ કરવામાં આવશે. શહેર તથા ગ્રામ્યના તમામ ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળોની સફાઈનું આયોજન હાથ ધરવામાં આવશે.

તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બિલ્ડીંગો, શાળા-કોલેજ અને આંગણવાડી વગેરેની સફાઈ કરવાનું આયોજન છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના અવિકસીત એરિયાની સાફ-સફાઈ તેમજ બિલ્ડીંગ કાટમાળને રિસાયકલ કરી રીયુઝ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તમામ સરકારી કચેરીઓના રેકર્ડ-વર્ગીકરણ અને ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની તમામ સરકારી કચેરીઓની સાફ-સફાઈ કરવામાં આવશે.

શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડની સફાઈ કરવામાં આવશે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, કોર્ટ સંકુલો, સરકારી રહેણાંકની વસાહતો, હાઉસિંગ સોસાયટીઓ વગેરેની સાફ-સફાઈ કરવામાં આવશે.

દિવાળી નિમિત્તે ફટાકડાના કચરાનો નિકાલ તેમજ જાહેર રસ્તાઓની સફાઈની કામગીરી કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે તેમજ એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિનોવેશન અને અપગ્રેડેશન કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

- text

ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ, એ.પી.એમ.સી., બાગ-બગીચાઓની સફાઈ તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવવા માટેના કમ્પોસ્ટ મશીનો અને અન્ય સુવિધાની શરૂઆત કરવામાં આવશે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ જાહેર અને સામુદાયિક શૌચાલયના રીપેરીંગ અને સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.

શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રીંગ રોડોની સાફ-સફાઈ કરવામાં આવશે. ટ્રાફિક સાઈનેજ અદ્યતન કરવા, ફુટ પાથ રીપેરીંગ, ડિવાઇડર રંગ રોગાન કરવા તેમજ ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ એન્ટ્રી પોઇન્ટથી પાંચ કિલોમીટર વિસ્તારમાં તથા વોટર બોડીઝ, ઘાટ, અમૃત સરોવર વગેરેની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં ગટર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રે વોટરના ટ્રીટમેન્ટ બાદ રી યુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ગ્રામ્ય તથા શહેરની તમામ હોસ્પિટલો ખાનગી તથા સરકારી દવાખાના, પી.એચ.સી., સી.એચ.સી. તેમજ અર્બન હેલ્થ સેન્ટરની સાફ-સફાઈ હાથ ધરાશે. ગ્રામ્ય તથા શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલની સાફ-સફાઈ કરવામાં આવશે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પીવાના પાણીના ઓવરહેડ ટાંકા, ફિલ્ટરેશન પ્લાન્ટ અને કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે

આ અભિયાનને આગામી બે માસ દરમિયાન જનભાગીદારી થકી વધુ વ્યાપક બનાવવા ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, જન-પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને નાગરિકોના શ્રમદાનથી ગુજરાતને રળિયામણું બનાવવા ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ સહિયાર પ્રયાસો કરવામાં આવશે. તો ચાલો આગામી બે માસમાં જનભાગીદારીથી મોરબી સાથે ગુજરાતને વધુને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી સૌ સાથે મળીને ‘સ્વચ્છતા એજ સેવા’ મંત્રને સાર્થક કરીએ.

- text