ભારત માલા પ્રોજેકટ હેઠળ નવા હાઇવે બનાવવા સામે માળીયાના ખેડૂતોનો પ્રચંડ વિરોધ

- text


નવા હાઇવેથી ખેતીની મોટી જમીન કપાતમાં જવાની હોવાથી આજીવિકા છીનવાઈ જવાની ચિંતા, અધિકારીઓએ અગાઉ કહ્યા મુજબ હવે ફરી જઈને સામુહિક વાંધાઅરજી ન સ્વીકારતા ખેડૂતોમાં રોષ, પાકની નુકશાની સહિતનું યોગ્ય વળતર ન મળે તો કોર્ટમાં જવાની અને સત્યાગ્રહ કરવાની ચીમકી

મોરબી : ભારત માલા પ્રોજેકટ અંતર્ગત મોરબી માળીયાના ગામોમાંના ખેડૂતોને જમીન કપાત કરીને ચાર માર્ગીય નવો હાઇવે બનાવવા સામે ખેડૂતોમાં પ્રચંડ વિરોધ ઉઠ્યો છે. નવા હાઇવેથી ખેતીની મોટી જમીન કપાતમાં જવાની હોવાથી આજીવિકા છીનવાઈ જવાની દહેશતથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે. જો કે અધિકારીઓએ અગાઉ કહ્યા મુજબ હવે ફરી જઈને સામુહિક વાંધાઅરજી ન સ્વીકારતા ખેડૂતોમાં રોષ, પાકની નુકશાની સહિતનું યોગ્ય વળતર ન મળે તો કોર્ટમાં જવાની અને સત્યાગ્રહ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.

- text

માળીયા પંથકના સરવડ, બરાર સહિતના અનેક ગામોના ખેડૂતો આજે મોરબી પ્રાંત અધિકારી કચેરીએ ભારત માલા પ્રોજેકટ હેઠળ નવા હાઇવે બનાવવા સામે સામુહિક વાંધા અરજી આપવા આવ્યા હતા અને આ ખેડૂતોએ ઉગ્ર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ભારત માલા પ્રોજેકટ હેઠળ મોરબી માળીયાના ગામોના ખેડૂતોની જમીન કપાત કરીને નવો ચાર માર્ગીય હાઇવે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મોરબી માળીયાના ઘણા બધા ખેડૂતોની જમીન કપાઈ જવાની હોવાથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જાય છે. એક બાજુ સરકાર ખેડૂતોનો ઉદ્ધાર કરવાની વાત કરે છે અને બીજી તરફ આવી હાઇવેના નામે ખેડૂતોની જમીનો ઉપર તરાપ મારે છે એ કેટલા અંશે વાજબી છે ? જમીનો છીનવાઈ જશે તો ખેડૂતો ખેતી કેમ કરશે અને રોજીરોટી ક્યાંથી મેળવશે. આવી રીતે તો ખેડૂતો જ મટી જશે. એક હાઇવે ઓલરેડી છે. ત્યારે બીજા હાઈવેની શુ જરૂરત છે ? એ પણ ખેડૂતોના ભોગે ? નવા હાઈવેની વાત છે એમાં કોની કેટલી જમીન કપાશે અને કેટલું વળતર મળશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આવી જાણ કર્યા વગર ખેડૂતોના ખેતરોમાં પિલર, ખુટા નાખીને કામ ચાલુ કરી દીધું છે. હાલ ખેતરોમાં ઉભો પાક હોય પણ આ હાઇવેના કામથી પાકને નુકશાની થઈ છે તેથી તેનું વળતર ચૂકવવું જોઈએ, આ ઉપરાંત અધિકારીઓએ અગાઉ સામુહિક વાંધા અરજી લઈને આવવાનું કહ્યા બાદ આજે સામુહિક વાંધા અરજી ન સ્વીકારતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આથી આ કામ બંધ ન થાય અને યોગ્ય ન્યાય નહિ મળે તો કોર્ટમાં જવાની અને સત્યાગ્રહ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.

- text