15 એપ્રિલ પહેલા સહી થયેલ અને સ્ટેમ્પ વાપરેલ લેખ માટે જ જુની જંત્રીનો લાભ આપવામાં આવશે

- text


લાભ મેળવવા તા.14 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજની નોંધણી કરાવવી ફરજિયાત

મોરબી : ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા. ૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવેલ છે. જેથી, તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

તા.૧૫/૦૪ ૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા. ૧૫/૦૪/૨૦૨૩ પહેલા કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલા અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

- text

તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે તા.૧૪/0૮/૨૦૨૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે. તો જેના દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.

જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જેની પણ જાહેર જનતાએ ખાસ નોંધ લેવા નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડયુટી, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.

- text