નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


કલેકટરના હસ્તે સફળતા પૂર્વક તાલીમ પ્રાપ્ત કરનાર 180 જેટલા દિવ્યાંગોને તાલીમ પ્રમાણપત્રો અપાયા

મોરબી : આજ રોજ મોરબીના પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાથે જ દિવ્યાંગોએ સમાજસેવાના ભાવથી રક્તદાન કર્યું હતું.

દિવ્યાંગોનું પુનર્વસન થાય એવા હેતુસર CEAD ના સહયોગથી નવજીવન દિવ્યાંગ સેવાશ્રય દ્વારા પ્રમાણપત્ર વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 દિવ્યાંગોએ સંસ્કાર ઇમેજિંગ બ્લડ બેંક ખાતે રક્તદાન કર્યું હતું. નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના હસ્તે તાલીમ પૂર્ણ કરનારા 180 જેટલા દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા અને કલેક્ટર જી.ટી.પંડ્યાએ નવજીવન સેવા ટ્રસ્ટની સેવાને બિરદાવી હતી

નવજીવન વિકલાંક સેવાશ્રયના મંત્રી જીતેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા અત્યાર સુધી 30 હજાર દિવ્યાંગો સુધી પહોંચી છે. આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 જેટલા દિવ્યાંગોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસિયા, પંચમુખી હનુમાનજી મંદિરના પ્રહલાદસિંહ ઝાલા, સમાજ સુરક્ષા વિભાગના ક્લાર્ક ભરતભાઈ પરમાર, નિવૃત મામલતદાર બી.એ. સોલંકી, શિક્ષક કમલેશભાઈ દલસાણીયા તેમજ નવજીવન દિવ્યાંગ સેવાશ્રયના મંત્રી જીતેન્દ્રભાઈ જોષી વગેરેએ સંબોધનમાં દિવ્યાંગ વ્યક્તિઓના કામને બિરદાવ્યા હતા અને દિવ્યાંગો જીવનમાં ખુબજ આગળ વધે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને સરકાર દ્વારા દિવ્યાંગોને અપાતા લાભો, સહાય વગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારું સંચાલન અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન, આયોજન અને અમલીકરણમાં બળવંતભાઈ જોશી તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રયના તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલભાઈ વાઘેલાએ તમામ વ્યવસ્થા પૂરી પાડી હતી.

- text

- text