ચૂંટણી કાર્ડ કઢાવવા કે સુધારા- વધારા માટે તૈયાર રહેજો : કાલે શુક્રવારથી ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ

- text


એક મહિના સુધી વિવિધ વિસ્તારના BLO ઘરે- ઘરે જઈને કામગીરી કરશે : .૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનોની મતદારયાદીમાં કરાશે નોંધણી

મોરબી : ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૪ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૧લી જાન્યુઆરી, ૨૦૨૪ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને આખરી કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે

આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસર (BLO)ને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની મુલાકાત લેવામાં આવશે.આ માટે BLO તા.૨૧મી જુલાઇથી ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરશે.

- text

આ કાર્યક્રમ હેઠળ તા.૨૧મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં BLO દ્વારા ૧.૭૯ લાખથી વધુ ઘરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવશે. BLO દ્વારા ઘરોની મુલાકાત દરમિયાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવશે. ખાસ કરીને તા.૧લી જાન્યુઆરી,૨૦૨૪ની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં.૬ ભરાવીને મેળવવામાં આવશે.મતદારોની વિગતો ચકાસીને જો મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.૮ મેળવવામાં આવશે. મતદારોની ખરાઇ દરમ્યાન એક કરતાં વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાના કિસ્સામાં ફોર્મ નં.૭ મેળવવામાં આવશે.

તા.૧લી ઓકટોબર,૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનોની વિગતો મેળવી યાદી તૈયાર કરવામાં આવશે. નવા અસ્તિત્વમાં આવેલા સોસાયટી/એપાર્ટમેન્ટકે જેનો સમાવેશ મતદારયાદીમાં ન થયો હોય તો તેની યાદી તૈયાર કરીને BLO /સુપરવાઇઝર દ્વારા તેની સ્થળ ઉપર જઇ મુલાકાત કરીને ખરાઇ કરવામાં આવશે. ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી દ્વારા મંજૂરી મળ્યેથી BLO દ્વારા આ સોસાયટી/એપાર્ટમેન્ટના દરેક ઘરની મુલાકાત કરીને લાગુ પડતા કિસ્સામાં ફોર્મ નં.૬, ફોર્મ નં.૮ મેળવવામાં આવશે.

એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ શરૂ થાય તે પૂર્વે આગામી તા.૨૧ જુલાઈથી રાજ્યભરમાં હાથ ધરવામાં આવનાર હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરીને અનુલક્ષીને રાજ્યભરના BLO અને સુપરવાઈઝર્સને ઈ-માધ્યમ થકી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

 

- text