ઉત્તરાયણે જનતાને સાવચેત રહેવા મોરબી પીજીવીસીએલ દ્વારા સુચનો જાહેર

- text


મોરબી : ઉત્તરાયણના પર્વને હવે બે દિવસનો જ સમય બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં મોરબી શહેરની જનતાના હિત માટે સાવચેતી હેતુને ધ્યાનમાં લઈને મોરબી પીજીવીસીએલ દ્વારા અગત્યના સુચનો જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર.વડાવીયા દ્વારા પતંગ મહોત્સવને ધ્યાને રાખીને જાહેર જનતા માટેના સુચનો જાહેર કરવામાં આવ્યા છે અને આ સુચનોનું પાલન કરવા નમ્ર અપીલ કરાઈ છે. પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખુલ્લા વીજળીના તારને અડવું નહીં, તાર ઉપર ચડેલા પતંગ લેવા લંગર નાખવા નહીં, આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકા થી તાર તૂટી જવાની ભીતિ રહે છે. તેમજ વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરવો નહીં. ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે.

- text

મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે. જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. વીજળીના તૂટેલા તારથી દૂર રહેવું. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જ આપવી. આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા જણાવાયું છે.

- text