અમારે તમારી સાથે વહેવાર નથી તો પણ કેમ આવ્યા કહી પિતા પુત્રો ઉપર હુમલો

- text


મોરબીના વિશિપરા વિસ્તારમાં મોટા બાપુના પુત્રોએ કાકાને તેમજ કાકાના દીકરાઓને માર માર્યો

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં વિધવા કાકી ઘર છોડીને જતા રહેતા બાળકોના ખબર અંતર પૂછવા ગયેલા પિતા અને બે પુત્રોને મોટાબાપુ તેમજ તેમના પુત્રોએ અમારે તમારી સાથે કોઈ વ્યવહાર નથી તો પણ સારું લગાડવા કેમ આવો છો કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રણછોડનગરમા રહેતા જીવણભાઈ રમેશભાઈ સનુરાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના વિધવા કાકી ઘર છોડી જતા રહેતા ફરિયાદી જીવણભાઈ તેમના પિતા રમેશભાઈ તેમજ મોટાભાઈ નવઘણ સાથે કાકીના ઘેર ગયા હતા.

- text

આ સમયે કાકીના ઘેર ફરિયાદી જીવનભાઈના મોટાબાપુ એવા આરોપી વિઠ્ઠલભાઈ બચુભાઇ સનુરા, તમના પુત્ર અજય ઉર્ફે વિક્રમ અને દેવજી તેમજ કાળુભાઇ પોપટભાઈ ડાભી સહિતના વ્યક્તિઓ ત્યાં હાજર હોય તેઓએ ઝઘડો કરી કહ્યું હતું કે, આજદિન સુધી તમારે અમારી સાથે વ્યવહાર નથી તો પણ સારું લગાડવા કેમ આવ્યા છો કહી ચારેય ઈસમોએ હુમલો કરતા ફરિયાદી તેમજ તેમના ભાઈ અને પિતા ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ફરિયાદી સહિત ત્રણેય વ્યક્તિઓને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે જીવણભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text