મોરબીનું ડાયાલિસિસ સેન્ટર બન્યું કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ, ૬ મહિનામાં ૩ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરાયું

- text


મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકે ડાયાલિસિસ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનશે

માળીયા, હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે

મોરબી : કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી ટૂંક સમયમાં મોરબી જિલ્લાના માળિયા હળવદ તથા ટંકારા એમ ત્રણ તાલુકા મથકોએ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે. મોરબી તથા વાંકાનેર ખાતે અગાઉથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સારવાર મેળવવી સહજ બનશે.બીજી તરફ મોરબીનું ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે અહીં ૬ મહિનામાં ૩ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરાયું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દર ૩૦ થી ૪૦ કિલોમીટરના અંતરે ડાયાલિસિસની અધ્યતન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દરેક જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે જ્યાં કિડનીના દર્દીઓને તમામ સુવિધા વિનામૂલ્ય મળી રહે છે.જે અંતર્ગત વાંકાનેર બાદ હવે માળીયા, હળવદ અને ટંકારામાં પણ ડાયાલીસીસની સુવિધા શરૂ કરશે જેથી જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થવાથી તેમને ઘર આંગણે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેમના પર પડતા નાણાકીય ભારમાંથી પણ કિડનીના દર્દીઓને હવે વધુ રાહત મળશે.

- text

કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધાઓ સાથે વિનામૂલ્યે ડાયાલિસિસની સારવાર મળી રહે તે હેતુથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૧૫ થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં દર્દીઓની શ્રેષ્ઠ સારવારની સુવિધા સાથે પૂરતી સાર-સંભાળ રાખવામાં આવે છે.મોરબીના ડાયાલિસિસ સેન્ટરના નોડલ ડો. સરડવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કિડનીના દર્દીઓની સારવાર માટે અહીં ૨૦૧૫ થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અત્યારે ૯ અદ્યતન મશીન સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ડાયાલિસિસ સેન્ટર ખાતે દરરોજના સરેરાશ ૨૨ દર્દીઓ તથા માસિક સરેરાશ ૫૨૫ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે. આ ડાયાલિસિસ સેન્ટર ખાતે હાલ ૧૯ HCV પોઝિટિવ તથા ૪૧ HCV નેગેટીવ મળી કુલ ૬૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા ૬ મહિનામાં ડાયાલિસિસ સેન્ટર ખાતે ૩ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે.

- text