હળવદ દુર્ઘટનામાં તટસ્થ તપાસ કરી કસૂરવારને કડકમાં કડક સજા આપવી જરૂરી : પૂર્વ મંત્રી

- text


ભાજપ નેતા જયંતિભાઈ કવાડીયાની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

હળવદ : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ મંત્રી જયંતિભાઈ આર. કવાડીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે કે હળવદ દુર્ઘટનામાં તટસ્થ તપાસ કરી કસૂરવારને કડકમાં કડક સજા આપવી જરૂરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે તેમના પૂર્વ મતદાર વિભાગ હળવદ જી.આઇ.ડી.સી.માં આવેલ સાગર સોલ્ટની દિવાલ ધરાશયી થવાના કારણે થયેલ ગંભીર અકસ્માતમાં માંડ-માંડ પેટીયું રળતાં 12 જેટલા મજૂરોના નિધન થયેલ છે, તે ખૂબ જ દુઃખદ બનાવ બનેલ છે. કોઇપણ પરિવારના સ્વજન માત્ર સામાન્ય બિમાર થાય ત્યારે આખો પરિવાર ચિંતામય બનતો હોય છે, જ્યારે આ ગોઝારી દુર્ઘટનામાં પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યુ છે, એટલું જ નહિ પણ એક પરિવારે તો તેમના છ-છ સ્વજન ગુમાવ્યા હોવાથી કેટલું અસહય દુઃખ થાય તે એક માનવી તરીકે સ્વાભાવિક સૌ કોઇ સમજી શકે.

- text

આ સાગર સોલ્ટની તાજેતરમાં થયેલ દુર્ઘટના પહેલાં પણ એક વખતે અકસ્માતનો બનાવ બનેલ. એટલુ જ નહિ પણ આ લાંબી અને મોટી દિવાલ હોવા છતાં કોઇ જગ્યાએ આર.સી.સી. કામ કરાયેલ નથી અને દિવાલ બાંધકામમાં પણ નિયત પ્રમાણમાં રેતી, સિમેન્ટ કે અન્ય માલસામાન નહિ વાપરવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. પરિણામે આ ગોઝારી દુઃખદ દુર્ઘટના બનેલ છે. આ બાબતે તટસ્થ તપાસ થાય તેમ કરાવવા અને કસૂરવાર સામે કડકમાં કડક સજા એટલે કે સમાજમાં એક દાખલો બેસે તેવી સજા થાય, તે પણ એટલું જરૂરી જણાય છે. આ બાબતે જરૂરી તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી હાથ ધરાય તેમ કરાવવા વિનંતી સહ ભલામણ કરેલ છે.

- text