મોરબીના લાયન્સનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસી ગ્યા ! પાલિકામાં મોરચો

- text


ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી લોકોએ બન્નેના નામના હાય-હાયના નારા લગાવ્યા : ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર ખાસ કરીને ગટરની સળગતી સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જેમાં મોરબીના છેવાડા વિસ્તાર લાયન્સનગરમાં ગટરની સમસ્યાએ આડો આંક વાળી દેતા હવે ગટરના ગંધાતા દૂષિત પાણી ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને લોકોનું ટોળું નગરપાલિકાએ દોડી જઈને મોરચા માંડ્યો હતો. ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી બન્નેના નામના હાય-હાયના નારા લગાવી લોકોએ ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર 1ના રહીશો આજે નગરપાલિકા કચેરીએ દોડી જઈને ભૂગર્ભ ગટર પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની શેરીમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી શેરીમાં નદીના વહેણની માફક ઉભરાઈ છે. ગટરના પાણી આખી શેરીમાં રેલમછેલ થઈને વહેતા હોવાથી ભારે ગંદકીને કારણે મચ્છરોનો ઉત્પાત વધ્યો છે. આથી મેલરીયા સહિતના રોગચાળાનું જોખમ વધ્યું છે. છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટરે હવે સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. જેમાં હવે તો છેલ્લા કેટલાક સમયથી શેરીમાં ઉભરાતી ગટરનું કદ એટલું બધું વધી ગયું છે કે ગટરના દૂષિત પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. તેથી રોગચાળો વકરવાની ભારે દહેશત વર્તાય રહી છે.

ગટર પ્રશ્ને સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. બીજી બાજુ ગટર ઉભરાતી હોવાથી પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા હોવાથી નાના બાળકોમાં રોગચાળો ફેલાય રહ્યો છે. આથી આજે લોકો રજુઆત કરવા નગરપાલિકાએ દોડી ગયા હતા. પણ જવાબદાર ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ હાજર ન હોવાથી લોકો રોષે ભરાયા હતા અને ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખના નામના હાય-હાયના નારા લગાવ્યા હતા. તેમજ જો ત્રણ દિવસમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

- text

- text