નકલી રેમડેસીવીર કૌભાંડમાં સુરતના પાંચેય આરોપીઓનો કબજો મેળવતી મોરબી પોલીસ

- text


સમગ્ર રાજ્યમાં 6 હજાર કોને-કોને આપ્યા તે અંગે ઘનિષ્ઠ તપાસ

કુલ 11 આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરાશે

મોરબી : રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં સુરતમાં પકડાયેલા 5 શખ્સોનો મોરબી પોલીસે આજે કબ્જો મેળવ્યો હતો. ખાસ કરીને આ નકલી રેમડીસીવર વેચવાની સુરતથી અમદાવાદ અને અમદાવાદથી વાયા મોરબીની ચેન હતી. તેમાં પડદા પાછળ રહેલા મોટા માથાઓનો કોઈ ભૂમિકા હતી કે કેમ? તેમજ ગુજરાતમાં વેચેલા 6 હજાર ઇન્જેક્શનો કોને-કોને આપ્યા? તે અંગે પોલીસે ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં નકલી રેમડેસીવીરનો કાળો કારોબાર કરતા બે શખ્સો 41 ઇન્જેક્શન સાથે ઝડપાય ગયા બાદ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડનું અમદાવાદથી વાયા મૂળ સુરતનું કનેક્શન ખુલ્યું હતું. મોરબીથી પકડાયેલા બે શખ્સોએ અમદાવાદના બે શખ્સો પાસેથી આ નકલી રેમડેસીવીર વેંચાતા લીધા હોવાની કબૂલાત આપતા મોરબી પોલીસે અમદાવાદથી બે શખ્સોને દબોચી લીધા તો એ બન્ને સુરતનું નામ આપ્યું. આ રીતે આખી રાજ્ય વ્યાપી ચેઇનનો પર્દાફાશ થયો હતો.

- text

દરમિયાન સુરતમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની આખી ફેકટરી ઝડપાઇ હતી અને પોલીસે કુલ 11 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે હજુ કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ આ તમામની વિધિવત ધરપકડ કરવામાં આવશે. પોલીસે હાલ જણાવ્યું હતું કે, મોરબીના બે શખ્સો અમદાવાદથી નકલી રેમડેસીવીર વેચાતા લાવ્યા હતા અને અહીં વેચવાના હતા. તે પહેલાં જ ઝડપી લેવાયા હતા. એટલે મોરબી પોલીસના કહેવા પ્રમાણે મોરબી આ નકલી ઇન્જેક્શન કોઈને અપાયા નથી. આમ છતાં કોને કોને વેચ્યા તે અંગે તપાસ ચાલી રહી છે. પણ આ જીવલેણ કૌભાંડના તાર પુરા રાજ્યને અડતા હોવાથી હજુ પણ પોલીસની તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થશે.

પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં આરોપીઓએ દસ દિવસ પહેલા જ નકલી રેમડેસીવીર બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. આરોપીઓ રોમટીરીયલ સહિતના એકબીજાના ધંધા સાથે સંકળાયેલા હોવાથી નકલી રેમડેસીવીરના કાળા કારોબારનું વાયા-વાયા નેટવર્ક ચાલતું હતું. અત્યાર સુધીમાં આ ટોળકીએ કેટલા ઇજકેશનો વેચ્યા તે અંગે પોલીસે આરોપીઓની પૂછપરછની તજવીજ હાથ ધરી છે.

નકલી રેમડેસીવીર ઇન્જેક્શનમાં ફક્ત ગ્લુકોઝ અને મીઠું જ હોવાથી દર્દીઓને એ ઇન્જેક્શમ આપવામાં મોટું જોખમ હોય એવા નકલી રેમડેસીવીર કેટલા લોકોને ધાબડી દેવાયા તે અંગે હજુ સુધી પોલીસે ફોડ પડયો નથી. કેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા તે અંગેની વિગતો પણ હજુ બહાર આવી નથી. જોકે આ કૌભાંડમાં આરોપીઓઓ માછલીઓ જ હોય શકે એમ છે. મગરમચ્છો તો કદાચ હજુ પડદા પાછળ હશે. કારણ કે, મોટામાથાની ઓથ વગર આવડું મોટું કૌભાંડ ન થઈ શકે. આ કૌભાંડમાં પોલીસે હાલ આરોગ્ય કે મેડીકલ ક્ષેત્રના લોકોના હાથની શકયતા નકારી કાઢી છે.

- text