હવે લગ્નમાં 200 લોકોની છૂટ : ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ 11થી સવારના 6 સુધી

- text


ફેબ્રુઆરી મહિના માટે રાજ્ય સરકારે કોરોનાને લઈને નવું જાહેરનામું બહાર પાડ્યું

મોરબી : દેશના તમામ રાજ્યો શહેરો, નગરો, ગામડાઓમાં કોરોનાના ઘટતા કેસોને લઈને લોકોમાં રાહતની લાગણી ફેલાઇ રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં કોરોના પરનો કન્ટ્રોલ જળવાઈ રહે એ માટે રાજ્ય સરકારે 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુમાં 1 કલાકની વધુ છૂટછાટ આપવા સહિત અન્ય નગરો માટે નવું જાહેરનામું બહાર પાડ્યું છે.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તારીખ ૧લી ફેબ્રુઆરીથી તારીખ ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.

તેમણે આ અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ હવે રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં આરોગ્ય વિભાગને સફળતા મળી છે.

પંકજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘટતા કેસો છતાં covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનું પાલન આવશ્યક છે. કોરોના સંદર્ભે નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે. એમ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે.

નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે. સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ અંગે તેમણે કહ્યું કે, જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે. આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે નિયત SOPના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશોની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં પંકજકુમારે કહ્યું કે, રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આવી પ્રવૃત્તિ ગતિવિધિઓની વિસ્તૃત વિગતો આપતા તેમણે કહ્યું કે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ સંદર્ભે જે સૂચનાઓનું પાલન કરવાનું છે તેમાં મુખ્યત્વે જે બાબતો આવરી લેવાઇ છે તે મુજબ;

સમારંભોમાં સામાજિક અંતર અને તેના માટે વ્યવસ્થિત આયોજન કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર સેગ્નેટાઈઝર સાથે)ની સગવડતા પૂરી પાડવાની તેમજ, સ્ટેજ, માઈક, સ્પીકર અને ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે. હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય ઘાતક બિમારીઓથી પીડિત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે. આરોગ્ય સેતુ ઍપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે. આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા ગોઠવતા ફીઝીકલ અંતર જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે. તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિઘાઓ તુર્ત જ ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે.

- text

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તારીખ ૪/૦૬/૨૦૨૦ના પરિપત્રથી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ SOPની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગોમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના પ૦ %થી વધુ નહી પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ હેતુસર www.digitalgujarat.gov.in પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના સોફ્ટવેર પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ પ૦ વ્યકિતઓની મર્યાદા રહેશે.

હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ, કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, સમારોહ તથા અન્ય આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના પ૦ ટકાની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. જયારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત- ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા અન્ય સમારંભનું આયોજન કરવામાં આવે ત્યારે આ પ્રસંગે SOPની બાબતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

જાહેરમાં થૂંકનારા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનારા વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે. રાજયમાં આવેલ ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા .૦૪/૦૬/૨૦૨૦ના હુકમથી બહાર પાકવામાં આવેલ SOPનું તથા ઘાર્મિક સ્થળો બાબતે ગૃહ વિભાગના બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સિનેમા હોલ તથા થિયેટર સંદર્ભે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્વિમિંગપૂલ સંદર્ભમાં મિનિસ્ટ્રી ઓફ યુથ એફર્સ એન્ડ સ્પોર્ટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

એકઝીબીશના હોલ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય જુદી-જુદી પ્રવૃત્તિઓ જેમાં ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર, હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર, જીમનેશિયમ સંબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ SOPનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે તથા જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરોએ સી.આર.પી.સી. કલમ–૧૪૪ હેઠળ જરૂરી જાહેરનામાં બહાર પાડવાના રહેશે. આ જાહેરનામાની જોગવાઇઓ/કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યકિત ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 તેમજ ધ ઇન્ડિયન પીનલ કોડ 1860ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે, એમ પણ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ જાહેરનામા અંગેની વિગતો આપતા ઉમેર્યું હતું.

- text