મોરબી જિલ્લાના બાકી રહેલા 17 હજારથી વધુ ખેડૂતોને 23મી સુધીમાં પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ કાઢી અપાશે

- text


18મી સુધી વિવિધ બેંકમાં કેમ્પો યોજાશે : ત્યારબાદ સરકારી કર્મચારીઓ ગામે ગામ ફરીને કોઈ બાકી રહેલા ખેડૂતને યોજનાનો લાભ અપાવશે

મોરબી : પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ હવે પરિવાર દીઠ કાઢી આપવાના સરકારના નિર્ણય બાદ વહીવટી તંત્રએ પુરજોશમાં ઝુંબેશ શરૂ કરી છે. હાલ જિલ્લામાં 17 હજારથી વધુ ખેડૂતો પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા નથી. તેઓને પીએમ કિસાન ક્રેડિટ આપવા માટે 18મી સુધી વિવિધ બેંકોમાં કેમ્પ યોજાનાર છે. ત્યારબાદ સરકારી કર્મચારીઓ ગામે ગામ જઈને પણ કામગીરી હાથ ધરશે અને 23મી સુધીમાં તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયો છે.

સરકાર દ્વારા પીએમ કિસાન લાભાર્થીઓ માટે રાહતવાળી સંસ્થાકીય ધિરાણની સાર્વત્રિક પ્રવેશની સુવિધા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પીએમ કિસાન લાભાર્થીઓને રાહતવાળા સંસ્થાકીય ધિરાણનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવા માટેની સુવિધા બેંક મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજનામાં અત્યાર સુધી ખાતા દીઠ ખેડૂતોને લાભ અપાતો હતો. તેના બદલે પરિવાર દીઠ આ લાભ હવેથી ઉપબલ્ધ કરાશે. આ યોજનાનો લાભ હવેથી પશુ પાલકો, મત્સય ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોને પણ મળશે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સય ઉદ્યોગ પ્રવૃતિ કરે છે તે વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં સંપર્ક કરી શકે છે પ્રોસેંસિગ, દસ્તાવેજી કરણ, નિરિક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ તેમજ રૂપિયા ૩ લાખ સુધીની કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે.

બેંક શાખાઓને પીએમ કિસાન લાભાર્થીઓની સૂચિ તૈયાર કરવાની સુચના આપાઈ છે. જેમની પાસે કેસીસી નથી તેઓ પણ કેસીસીનો લાભ હવેથી મેળવી શકશે. કેસીસીનો લાભ મેળવવા માટે પીએમ કિસાન લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ પરથી સંબંધિત બેંક શાખાની મુલાકાત લેવા માટે એસ.એમ.એસ મોકલવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન લાભાર્થીઓને કેસીસી માટે મંજૂરી આપવામાં આવી છે. અને તેનો લાભ મેળવવા માટે જમીનના દસ્તાવેજોની એક નકલ, વાવેલા પાકની વિગતો સાથે એક પાનાનો સંપૂર્ણ વિગત ભરેલ ફોર્મ સાથે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે. પીએમ કિસાન લાભાર્થીઓને કેસીસી હેઠળના કવરેજ માટે એક પાનાનો સરળ ફોર્મ વિકસાવાયું છે.

- text

મોરબી જિલ્લામાં પીએમ કિસાન ક્રેડિટ કાર્ડના કુલ 97891 લાભાર્થીઓ છે. જેમાંથી 80,879 લોકોના કાર્ડ નીકળી ગયા છે. જ્યારે 17,100 લોકોના કાર્ડ કાઢવાના બાકી છે. આ અંગે અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે બાકી રહેલા લાભાર્થીઓને 23મી ફેબ્રુઆરી સુધીમાં કાર્ડ કાઢી આપવામાં આવનાર છે. 18મી સુધી લીડ બેન્ક, નાબાર્ડ સહિતની બેંકોમાં કેમ્પો રાખવામાં આવશે. ત્યારબાદ તલાટીઓ તેમજ ગ્રામસેવકો ગામે ગામ કોઈ ખેડૂત બાકી રહી જતા નથી તે ચકાસશે અને જો કોઈ ખેડૂત બાકી હશે તો તેને આ યોજનાનો લાભ અપાવશે. આમ 23મી સુધીમાં પીએમ કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી સંપૂર્ણ રીતે પુરી કરી દેવામાં આવશે.

- text