- text
કલાસ વનથી કલાસ ફોર સુધીના એક સાથે 50 કર્મચારીઓની સ્વૈચ્છીક નિવૃત્તિથી સેવા પર અસર વર્તાશે
મોરબી : ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલેકે બીએસએનએલમાંથી દેશભરમાંથી સેવા નિવૃત થવા માટે હજારો કર્મચારીઓએ રસ દાખવ્યો હતો. ત્યારે મોરબી બીએસએનએલમાં વર્ષોથી નોકરી કરી રહેલા 50 જેટલા કર્મચારીઓએ સ્વૈચ્છીક સેવા નિવૃત્તિ સ્વીકારી છે. જે તમામનો સન્માન સહિત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. એક સમયે જેનો દબદબો હતો એવા ભારતીય સંચાર નિગમ લિમિટેડના કર્મચારીઓને એક સાથે સ્વૈચ્છીક નિવૃત્તિ લેવા માટે વિકલ્પ આપવામાં આવતા હજારો કર્મચારીઓએ આ સ્કીમનો લાભ લીધો હતો. મોરબીમાં એક સાથે 50 કર્મચારીઓએ આ સ્કીમ હેઠળ સ્વૈચ્છીક સેવા નિવૃત્તિ જાહેર કરી હતી. 31 જાન્યુઆરી તે તમામનો સન્માન સહિત વિદાય સમારંભ નવા ટેલિફિન એકસચેન્જમાં આયોજિત કરવામાં આવ્યો હતો. નિવૃત થનાર કર્મચારીઓનું બેન્ડવાજા સાથે સ્વાગત કરાયું હતું. જેમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. આ સમારંભમાં કલાસ વનથી લઈને કલાસ ફોર સુધીના અધિકારીઓ, એન્જીનિયરો, કર્મચારીઓ સામેલ છે. DET (ડેપ્યુટી ઈજનેર) ગામીએ પણ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી હોય તેમના સ્થાને નિયુક્ત થયેલા સબ ડિવિઝનલ એન્જીનીયર ઠોરિયાએ તેઓનો ચાર્જ સાંભળ્યો હતો. જેઓ પણ આ સમારંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- text
ઉલ્લેખનીય છે કે ખાનગી મોબાઈલ કંપનીઓના આગમન પછી દેશમાં સહુથી મોટું નેટવર્ક ધરાવતી સરકારી બીએસએનએલ સંસ્થા હરીફાઈમાં ટકી ન શકતા ઉત્તરોતર તેની સેવા વિવાદોમાં આવતી રહી છે. ઘણી વખત તો સમયસર પગાર ચૂકવવાના ફાંફા પડ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ પણ થયું રહ્યું છે. ત્યારે સરકારે બીએસએનએલમાં ખર્ચ ઘટાડવા માટે સ્વૈચ્છીક નિવૃત્તિની સ્કીમની જાહેરાત કરતા બહોળી સંખ્યામાં કર્મચારીઓએ તેનો લાભ લીધો હતો.
- text