મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લેનમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની અફવા : પોલીસ તપાસ શરૂ

- text


ટંકારા, વાંકાનેર, માળીયા અને મોરબી તાલુકામાંથી પોલીસને ફોન આવ્યા : કશું ચિંતાજનક ન હોવાનું જિલ્લા પોલીસવડાનું સતાવાર નિવેદન

(અતુલ જોશી, હરદેવસિંહ ઝાલા, કાસમ સુમરા)

મોરબી : પુલવામાં આંતકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સીમમાં ઘુસી આંતકવાદી અડ્ડાઓનો સફાયો કર્યા બાદ દેશભરમાં ભારત – પાક વચ્ચે તણાવ ભર્યો માહોલ છે ત્યારે આજે સાંજે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્લેનમાંથી સળગતો પદાર્થ પડ્યો હોવાના જુદા – જુદા ગામથી પોલીસ વિભાગને ફોન આવતા પોલીસે આ ગંભીર બાબતે ત્વરિત કાર્યવાહી કરી ઘટના સ્થળે દોડી ગઈ છે.જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોય અફવાને કારણે તરેહ – તરેહની ચર્ચા ઉઠી છે. જિલ્લા પોલીસવડાએ પણ કશું વાંધાજનક ન મળ્યું હોવાનું સતાવાર રીતે જણાવી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી, વાંકાનેર : મોરબી અને વાંકાનેરના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે પ્લેનમાંથી કોઈ સળગતી વસ્તુ નીચે પડી હોવાના પોલીસને ફોન આવ્યા હતા. જેમાં મોરબીના પીપળી, ઘુટુ ગામ પાસે તેમેજ વાંકાનેરના માટેલ અને અન્ય જગ્યાએ સાંજના સમયે પ્લેનમાંથી કોઈ સળગતી વસ્તુ નીચે પડી હોવાની ગ્રામજનોએ પોલીસને જાણ કરતા. આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ગ્રામજનોએ જેટ પ્લેન પસાર થતી વેળાએ તેના તીખારા નીચે પડતા જોયા હશે આમ છતાં આ ગંભીર બાબતને ધ્યાને લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ શરૂ કરી છે.

વધુમાં મોરબી તાલુકાના પીપળી અને ઘુંટુ ગામ વચ્ચે સિમ વિસ્તારમાં સાંજે ૭: ૨૦ના અરસામાં પ્લેનમાંથી કોઈ વસ્તુ નીચે પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઉપર બે પ્લેન પસાર થયા હતા. જેમાંથી સળગતો પદાર્થ નીચે પડ્યો હતો. આ મામલે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસને પીપળી ઉપરાંત માળીયા, માટેલ અને ટંકારા પાસે પણ પ્લેનમાંથી કોઈ વસ્તુ પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ઉપરાંત વાંકાનેર પંથકમાં સાંજના સુમારે ત્રણ પ્લેન રાણેકપર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. આ બાબતની વાંકાનેર સીટી પીઆઇ એમ.વી.ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવેલ છે કે આકાશમાં ફાઈટર જેટ ફૂલ સ્પીડમાં જતાં હોય ઘણી વખત આવા તિખારા જોવા મળે છે કોઈ ચિંતાનો વિષય નથી, હાલ પોલીસે સમગ્ર વિસ્તારને બારીકાઈથી નિરીક્ષણ કરેલ છે કાંઈ આપત્તિજનક દેખાતું નથી.

દરમિયાન જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને જો કાંઈ પણ આપત્તિજનક જણાય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે, જો કે એક વાત તો સ્પષ્ટ છે કે મોરબી જિલ્લાની પ્રજા ખુબજ સતર્ક છે અને એટલા માટે જ આજની ઘટનમાંથી દરેક તાલુકામાંથી અજુગતું બન્યા અંગે પોલીસને માહિતગાર કરી દેશભક્તિ સાથે જાગૃતતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

- text