હળવદમાં ગરીબોના ઘઉં હજમ કરી જનાર એલીગન્સ ફૂડ ફેકટરી સીલ

- text


એસ.ઓ.જી. ના દરોડા બાદ મોરબી જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારનું આકરૂ પગલું

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે રેશનકાર્ડ ધારકો માટે પુરવઠા ગોડાઉનમાંથી મોકલવામાં આવેલ જથ્થો ગરીબ રેશનકાર્ડ ધારકો સુધી પહોંચાડવાને બદલે સીધો જ કારખાનામાં પહોંચી જતા એસઓજી ટીમે લાખોનો જથ્થો ઝડપી લેતા આજે જિલ્લા પુરવઠા અધિકારી હળવદ મામલતદારે આ કારખાનને સીલ કરી નમૂના લેવડાવવાની કાર્યવાહી શરૂ કરતાં કાળાબજારીયાઓમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં સસ્તા અનાજનું અનાજ કેરોસીન બારોબાર વેચી મારવાના કાળા કારોબારમાં ગઈકાલે એસઓજી પીઆઇ એસ.એન.સાટી સહિતની પોલીસે ટીમે હળવદના પુરવઠા ગોડાઉનથી કડીયાણા રવાના થયેલ ટ્રકનો પીછો કરતા આ ટ્રક સસ્તા અનાજના વિક્રેતા પાસે પહોચવાને બદલે એલીગન્સ ફૂડ નામની ફેકટરીમાં પહોચતા પોલીસે ૧૮૫ ગુણી ઘઉં અને ૩૫ ગુણી ચોખાનો જથ્થો સિઝ કરી જિલ્લા પુરવઠા અધિકારીને ધગધગતો રિપોર્ટ કર્યો હતો.

- text

બીજી તરફ એસઓજી દ્વારા પુરવઠા વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરી સસ્તા અનાજના વિક્રેતાને કાળા બજાર કરતા રંગે હાથ ઝડપી લેતા આજે સવારથી જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ અને હળવદ મામલતદાર વી.કે.સોલંકીએ એલીગન્સ ફૂડ નામની ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસના અંતે અનેક ગેરરીતિઓ જોવા મળતા અંતે એલીગન્સ ફૂડને સીલ કર્યું હતું.

વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ જણાવ્યું હતું કે કારખાનામાં ઘઉંનો લોટ, સોજી, ભરડકું સહિતની ચીજો બનતી હોય એ તમાંમ ચીજો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થતા ઘઉંમાંથી બનાવાય છે કે કેમ તે અંગેની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સને સેમ્પલ લેવા આદેશ કરાયો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મોરબી જિલ્લામાં ગરીબોના ભાગનું અને ગરીબોના નામે બોગસ રેશનકાર્ડ દ્વારા અનાજ મેળવી બાદમાં બારોબાર આવા કારખાનામાં કાળા બજારી કરવામાં આવતી હોવાનું ચોરેને ચોંટે ચર્ચાય રહ્યું છે ત્યારે હવે જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેકટર આ કાળા બજાર કૌભાંડમાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

- text