‘વેદ તરફ પાછા વળો’ના સુત્ર સાથે સમગ્ર જીવન વૈદિક જ્ઞાનને અનુસરવામાં સમર્પિત કરતા મહર્ષિ દયાનંદ સરસ્વતી

આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ ઐતિહાસિક અને દાર્શનિક મહત્વ ધરાવે છે

મોરબી : આજે ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદની જન્મજયંતી છે. મહા વદ દસમ, 12 ફેબ્રુઆરી, 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. ત્યારબાદ અવધૂત અવસ્થામાં રહ્યા. 10-12 વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો. ઈ.સ. 1875માં આર્યસમાજ ની સ્થાપના કરી હતી.

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જોધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંત સિંહની રખાત “નન્હી ભક્તન” તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અંગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ 30 ઓક્ટોબર, 1883ના રોજ થયું હતું.

આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નોંધપાત્ર ઐતિહાસિક અને દાર્શનિક મહત્વ ધરાવે છે, કારણ કે તે ભારતમાં સુધારણા ચળવળની સ્થાપના અને વેદ અને વૈદિક સંસ્કૃતિ માટે તેમની પ્રખર હિમાયતની યાદ કરાવે છે. 12 ફેબ્રુઆરી, 1824ના રોજ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમનું સમગ્ર જીવન વૈદિક જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને અનુસરવામાં સમર્પિત કર્યું હતું. તેમના સ્વપ્નદ્રષ્ટા વિચારો અને સંદેશાઓ સમાજને પ્રોત્સાહિત કરે છે, જે સમૃદ્ધિ, સ્વતંત્રતા અને સમાનતાની હિમાયત કરે છે. તેમણે ‘વેદ તરફ પાછા વળો’નું સુત્ર આપ્યું હતું.

ફેબ્રુઆરી, 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ વર્ષને માન આપતા વર્ષભરના સ્મારકોનું આયોજન કર્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપદેશોએ સમાજ, ધર્મ અને રાષ્ટ્ર વચ્ચેના સહજીવન સંબંધ તરફના માર્ગને પ્રકાશિત કર્યો છે. તેમના ચતુર અવલોકનોએ વાસ્તવિક ભારતીયતા (ભારતીય ઓળખ) અને રાષ્ટ્રવાદની સર્વગ્રાહી સમજને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો 200મો જન્મદિવસ તેમની વિભાવનાઓને પ્રતિબિંબિત કરવા અને તેમના અપાર યોગદાનને શ્રદ્ધાંજલિ આપવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.