નવા નેશનલ હાઇવે મામલે લુંટાવદર ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

- text


13 ગામના ખેડૂતોને કોઈપણ શરતે નવો ફોરલેન નેશનલ હાઇવે મંજૂર નથી : ખેડૂતોએ વેદના ઠાલવી

મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર નજીકથી નવો ગોરલેન નેશનલ હાઇવે પસાર કરવા મામલે નોટિફીકેશન જાહેર થતા તરઘરી, વનાળીયા, ખાખરાળા, અમરેલી, લુંટાવદર સહિતના ગામોના ખેડૂતોએ અગાઉ પ્રાંત આધિકારી સમક્ષ વિરોધ વ્યક્ત કરતા ગઈકાલે એક માત્ર લુંટાવદર ગામના ખેડૂતોને જ અચાનક રૂબરૂ પ્રાંત અધિકારી સમક્ષ હાજર રહેવા નોટીસ મળી હતી. જ્યારે બીજા વનાળીયા, ખાખરાળા, અને અમરેલી સહિતના ખેડૂતોને વગર નોટીસે બોલાવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

મોરબી – પીપળીયા – નવલખી રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેકટને ચારમાર્ગીય કરવાના કામમા મોરબી તાલુકાના ગામોને જમીન સંપાદન કરવા માટે નેશનલ હાઈવે અધિનયમ-1956 કલમ 3 (એ) હેઠળનું જાહેરનામું તા.31.05.2023ના રોજ ગુજરાતી દૈનિક પત્ર સંદેશ તથા અંગ્રેજી દૈનિક પત્ર ઇન્ડિયન એકપ્રેસસમાં પ્રસિદ્ધ થયું હતું. જેથી લૂંટાવદર ગામના ખેડૂતોએ સામુહિક વિરોધ કરી પ્રાંત અધિકારીને તા.05/06/2023ના રોજ રજુઆત કરતા જણાવ્યું હતું કે, નવલખી હાઇવે 2 લેનનો છે અને સરકારે ફોરલેન મંજુર કર્યો છે ત્યારે નવા કોઈ હાઈવેની જરૂરત નથી. ઉપરાંત નવા હાઇવેમાં ખેડૂતોની 26.89 હેક્ટર જેટલી વિશાળ ઉપજાવ જમીન કપાતમાં જતી હોવાનો પણ વ્યાપક વિરોધ કર્યો હતો.

નેશનલ હાઇવે દ્વારા આ કપાત કરવામાં ક્યાં ખેડૂતની કેટલી જમીન કપાત થનાર છે, કેટલું વળતર આપવામાં આવશે તે સહિતની બાબતો અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તમામ બાબતો સામે વિરોધ પ્રગટ કરી દસ દિવસમાં તમામ બાબતો અંગે હાઇવે ઓથોરિટી સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠાવી હતી. બીજી તરફ રજૂઆત સંદર્ભ વાંધા અરજીની રજુઆત કરવા માટે ગઈકાલે તા.28 નવેમ્બરના રોજ નોટીસ મળી હતી જેમાં તા.29 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી સમક્ષ હાજર રહેવા માત્ર લુંટાવદર ગામના ખેડૂતોને નોટીસ પાઠવવામાં આવી હતી. જ્યારે અન્ય ખાખરાળા, અમરેલી, વનાળિયા ગામના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. અન્ય ગામોને નોટીસ પાઠવવામાં ન આવી હતી.

વધુમાં ચાર ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક એક દિવસમા વાંધાજનક કેવી રીતે જવાબ રજૂ કરવો ? અત્યારે રવિ પાકની સિઝનમાં ખેડૂતો જીરું, ઘંઉ, ચણા જેવા પાકોના વાવેતરના કામોમાં લાગેલા છે અને અત્યારે એક કિમિના અંતરે સ્ટેટ હાઇવે 24 રોડ હયાત છે તો ત્યાં ફોરલેન કરવામાં 13 ગામોના ખેડૂતોને કોઈ પણ શરતે નવો રોડ મંજુર નથી.

- text

આ મામલે લુંટાવદર ગામના ખેડૂત નિતેશભાઈ બાવરવાએ જણાવ્યું હતું કે, ભારતમાળા પ્રોજકટ હેઠળ મોરબીથી નવલખી નેશનલ હાઇવે 151 નવો માર્ગ 13 ગામોના નાના ખેડૂતોની ફળદ્રુપ ઉપજાવ જમીનને નુકસાન કરશે. નવા સર્વે મુજબ ભારતમાળા પ્રોજેકટ નવલખી મોરબી નેશનલ હાઇવે 151 અને જૂના નવલખી મોરબી હાઈવે સ્ટેટ હાઇવે 24ની વચ્ચેનું સરેરાશ અંતર 1 કિમિથી 2 કિમિની આસપાસ છે તથા નેશનલ હાઇવે કંડલા હાઈવે પણ નજીકના અંતરમાં જોડાઈ છે તો આટલા નજીકના અંતરમા નવો હાઈવે બનાવીને ખેડૂતોને શુ લાભ મળશે ? નવા નવલખી મોરબી નેશનલ હાઇવે 151થી નાના ખેડૂતોની ફળદ્રુપ જમીનનો નાશ થાય છે, મચ્છુ 2 સિંચાઈ યોજના મા પણ અવરોધ થશે ઉપરાંત વરસાદના પાણીથી નિકાલમા પણ અવરોધ થશે, પર્યાવરણ ને પણ નુકસાન થશે. તેથી એવો આગ્રહ છે કે નાના ખેડૂતો ની જમીન નાશ ન થાય તેના માટે જુના નવલખી મોરબી સ્ટેટ હાઇવેને ફોરલેન બનાવીને જોડી આપો અને નવા ભરાતમાળા પ્રોજેકટ નવલખી મોરબી નેશનલ હાઇવેને રદ કરી આપો.

વધુમાં ખેડૂતોએ ઉમેર્યું હતું કે, સરકારનો એક નારો હતો કે અમે ખેડૂતોની આવક બમણી કરીશું, પણ ખેતી માટે જમીન નહીં હોય તો ઉપજ કેવી રીતે આવશે ?? આવક બમણી કેવી રીતે થશે ? કૃપા કરી ને આ મુદા ઉપર પગલા લઇ અને ખેડૂતોના હિત માટે ફરીથી વિચાર કરશો એવી તમારી પાસે અપેક્ષા છે, અમને પૂર્ણ વિશ્વાસ છે તમે અને આપણી સરકાર આ મુદ્દા ઉપર ખેડૂતોના હિત માટે નિર્ણય લેશે અને જલ્દીથી આ મુદ્દા ઉપર કાર્યવાહી કરશે તેમ રજુઆતને અંતે જણાવ્યું હતું.

- text