હળવદના રાતાભેરમાં કેમિકલ્સ યુક્ત ઝેરી કચરો સળગાવતા ગામલોકોમાં ભારે આક્રોશ

- text


 

ભયાનક આગ ફાટી નીકળી હોય એવા ધુમાડાના ગોટે ગોટા નીકળતા ઝેરી દુર્ગધ ફેલાય, જન આરોગ્ય સામે ચેડાં કરનાર જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે કોઈ કારખાનાના માલિકો કેમિકલ્સ યુક્ત કચરો ઠાલવી ગયા બાદ આ કેમિકલ્સ યુક્ત કચરો સળગાવી દેતા જાણે ભયાનક આગ લાગી હોય તેવા ભયાવહ ધુમાડા નીકળતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. જો કે આ કેમિકલ્સ યુક્ત કચરો સળગાવાથી ભયંકર દુર્ગંધ ફેલાતા ગામલોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ ગયું છે.ભારે પ્રદુષણ ફેલાવાથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાતાભેર ગામે ભયંકર રીતે પ્રદુષણ ફેલાવવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામની પાછળ વચ્છરાજ દાદાના મંદિર પાસેના ચેકડેમ નજીક કોઈ કારખાનાવાળાઓ કેમિકલ યુક્ત ઝેરી કચરો ઠાલવી ગયા હતા. એટલું જ નહીં અહીં જાહેરમાં પહેલા જન આરોગ્ય માટે ખતરનાક આવો ઝેરી કચરો જાહેર નાખીને કોઈએ તેને સળગાવી દીધો હતો. આ કેમિકલ યુક્ત ઝેરી કચરો સળગતા જ જાણે મોટી ભયાનક આગ લાગી હોય તે રીતે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને આગના લબકારા મારતા ધુમાડા દૂર દૂર સુધી દેખાતા લોકો ભયભીત બની ગયા હતા.

- text

જો કે કેમિકલ સળગતા જ ભંયકર પ્રકારની ઝેરી દુર્ગધ આખા ગામમાં ફરી વળી હતી.તેથી ભારે પ્રદુષણ ફેલાતા ગ્રામજનો સમસમી ઉઠ્યા હતા. ગામના એકદમ શુદ્ધ વાતાવરણને અશુદ્ધ કરનાર તત્વો સામે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજુબાજુમાં આવેલ ચેકડેમ કે તળાવોમાં માલઢોર પાણી પીતા હોય પણ આ કેમિકલ સળગતા તેનો ધુમાડો પાણીમાં ફરી વળતા પ્રદુષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી પ્રદુષણ બોર્ડ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

- text