બબ્બે કંધોતર અને પુત્રવધુ ગુમાવતા દેગામા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું

- text


હળવદના સુંદરીભવાની ગામે એક સાથે ત્રણ-ત્રણ અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું : દીકરા-દીકરીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી

હળવદ : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે…..હળવદના સુંદરીભવાની ગામે ગઈકાલે ત્રાટકેલા તોફાની વરસાદમાં વાડીએ દીવાલ ધસી પડતા એક જ પરિવારના બબ્બે કંધોતર અને પુત્રવધુના મોત નિપજતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ આજે સવારે એક સાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા સુંદરીભવાની ગામ હીબકે ચડ્યું હતું. આ ગંભીર દુર્ઘટનામાં બે બાળકોએ માતાપિતાની અને એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા ગામના સરપંચે રાજ્ય સરકારના નિયમ મુજબ આ ગરીબ ખેડુત પરિવારને સહાય ચૂકવવા ભાર પૂર્વક જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓને રજુઆત કરી હતી.

ગઈકાલે સાંજે હળવદના સુંદરીભવાની ગામે વાદળ ફાટવા જેવી સ્થિતિમાં એક સામટો સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા વરસાદથી બચવા ખેડૂત પરિવારના છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામા વાડીએ મકાનની દીવાલની ઓથે ઉભા રહી ગયા હતા. જો કે તેમને કાળ બોલાવતો હોય તેમ દીવાલની ઓથમાં ઉભા રહેતા જ અચાનક દીવાલ ધસી પડતા ત્રણેય લોકો દીવાલ હેઠળ દટાઈ જતા કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.

- text

આ ઘટના અંગે સુંદરીભવાની ગામના સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમના ગામના ગફલભાઈ સુરાભાઈ દેગામાના પુત્ર છેલાભાઇનું અવસાન થતા તેમની એકની એક પુત્રી માનસી ઉર્ફે ઢબુએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જયારે વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામાનું મૃત્યુ નિપજતા તેમના પુત્ર યશપાલ ઉ.7 અને ભૂમિ ઉ.5 નોધારા બની ગયા છે તો જતી જિંદગીએ ગફલભાઈને બબ્બે કંધોતર અને પુત્રવધુ ગુમાવવા પડતા ગફલભાઈ અને તેમના પત્નીની માનસિક સ્થિતિ દયનિય બનીછે.

વધુમાં સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિએ એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો ગુમાવનારા દેગામા પરિવારને રાજ્ય સરકારના નિયમ મુજબ તમામ આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી સરકારી અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરી નોધારા બનેલા બાળકો માટે પણ સરકારને સહાનુભૂતિ દાખવવા અનુરોધ સાથે રજુઆત કરી છે.

જો કે, આ ગંભીર દુર્ઘટનામાં જિલ્લા વહીવટી તંત્ર માનવતા ચૂક્યું હોય તેવા ઘાટ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ કે રાજકારણીઓ ઘટનાના બાર-બાર કલાક બાદ પણ ભોગબનેલા પરિવાર સુધી ન પહોંચતાં આશ્ચર્ય સર્જાયું છે.

- text