માળિયાના ખાખરેચીમાં પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ

- text


તને ઘરકામ આવડતું નથી કહી ત્રાસ આપતા બે મહિનાના લગ્નજીવનમાં જ પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ચાર દિવસ પૂર્વે બે મહિનાના લગ્નજીવનમાં જ નવોઢાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ મામલે મૃતક પરિણીતાના પિતાએ પોતાની દીકરીને પતિ સહિતના સાસરિયાઓએ મારવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.10 એપ્રિલના રોજ માળીયા તાલુકાના ખાખરેચી ગામે તેજલબેન ગોપાલભાઈ કોળી ઉ.20 નામની પરિણીતાએ બે મહિનાના જ લગ્નજીવનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પિતા ભટુભાઇ ઘોઘાભાઇ રાઠોડ, રહે.બાલંભા તા.જોડીયા જી.જામનગરવાળાએ તેજલબેનના પતિ ગોપાલભાઇ નવઘણભાઇ કોળી, સસરા નવઘણભાઇ પ્રભુભાઇ કોળી તથા સાસુ વનીતાબેન નવઘણભાઇ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં તેજલબેનના પિતા ભટુભાઇ ઘોઘાભાઇ રાઠોડે નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે તેજલબેનને તેના પતિ તથા સાસુ સસરાએ ઘરકામ આવડતુ નથી તેમ કહી ચડામણી કરી અવાર નવાર ઝગડાઓ કરી માનસીક ત્રાસ આપતા હોવાથી તેમનાથી સહન ન થતા મરવા મજબુર કર્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવતા આ ઘટના અંગે માળીયા પોલીસે આઇપીસી કલમ કલમ ૩૦૬,૪૯૮(ક),૧૧૪ મુજબ ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text