મોરબી-હળવદ રોડ પર ભૂલા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી તાલુકા પોલીસ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી-હળવદ રોડ પર નીચી માંડલ ગામ નજીક મળી આવેલ બાળકના વાલીને શોધી કાઢી તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

ગત તા. 16ના રોજ મોરબીના ઉમિયાનગરમાં શકિત ચેમ્બર પાછળ રહેતા નશેરભાઇ ભવાનભાઇ બારોટને એક આશરે 10 વર્ષનો બાળક મોરબી-હળવદ રોડ પર નીચી માંડલ ગામથી આગળ લીંબોચ કારખાના પાસે રોડ ઉપરથી મળી આવ્યો હતો. રાહદારી નશેરભાઇએ પોલીસ હેડ કોન્સટેબલ જગદિશભાઇને જાણ કરતા તેઓએ બાળકનું નામ-ઠામ પુછતા બાળકે પોતે પોતાનું નામ પરેશ યોગેશભાઇ હોવાનું જણાવેલ હતું અને તેને સરનામું ખબર નહતું. જેથી, તેઓએ બાળકને સાથે રાખી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગામડાઓમાં જઇ ગામો બતાવ્યા પરંતુ કોઇ માહિતી મળી નહતી.

ત્યારબાદ ગૂગલ મેપની મદદ લઇ મોરબીની આજુબાજુના ગામના નામ લઇ સંભળવાતા ટંકારાથી આગળના ગૌરીદળ ગામનું નામ સાંભળતા બાળકે જણાવ્યું કે મારા નાના-નાની ગૌરીદળ ગામે શંકર ભગવાનના મંદિર પાસે આવેલ બાબુભાઇની વાડીએ રહે છે. જેથી, પોલીસે ગૌરીદળ ગામે રહેતા રમેશભાઇ ગજેરાનો સંપર્ક કરી શંકર ભગવાનના મંદિર પાસે બાબુભાઇની વાડી બાબતે તપાસ કરાવી હતી. અને બાબુભાઇની વાડીએ જયંતિભાઇનો સંપર્ક કરતા પરેશ તેનો ભાણેજ થાય અને તેના પિતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકા હોવાનું જાણવા મળ્યું હતું.

- text

મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સરઘઈ ગામના વતની હાલ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામમાં રહેતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકાએ પોલીસને તેમનો પુત્ર વાડીએથી ગુમ થયેલાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વીડીયો કોલથી ખરાઈ કરાવતા પરેશ તેના પિતાને ઓળખી ગયો હતો. આથી, પોલીસે બાળકના માતા-પિતાને ગત તા. 17ના રોજ મોરબી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થયેલ બાળક પરેશને તેના પિતા યોગેશભાઇને સોંપી દીધો હતો. આથી, બાળકના પરીવારમાં ખુશી ફેલાઈ ગઈ છે.

- text