હવે તો દયા ખાવ : વાંકાનેરના પલાસ ગામના પાદરમાં દર્દીઓની ઝાડવા નીચે સારવાર

- text


ચાની હોટલના છાંયડામાં તેમજ વૃક્ષની ડાળીએ શક્તિના બાટલા લટકાવવા પડયા : દર્દી બાપડા બિચાકડા બન્યા

વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે વાયરસ તાવ શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવતા દવાખાના ટૂંકા પડી રહ્યા છે અને હવે દર્દીઓને ઝાડવાને છાંયે સુવડાવી ઝાડની ડાળીએ બાટલા લટકાવી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ગત અઠવાડિયે મોરબીના સીરામીક કારખાનામાં અને ગઈકાલે ખાખરેચીના વિડીયો બાદ આજે વાંકાનેર તાલુકાના પલાસ ગામનો વિડીયો વાઇરલ થયો છે જેમાં ડઝનથી વધુ દર્દીઓને ઓપનએર ટ્રીટમેન્ટ અપાતી હોવાનું સામે આવ્યું છે.

મોરબીનો આરોગ્ય વિભાગ તમામ મોરચે નિષ્ફ્ળ નીવડ્યો હોય તેવી સ્થિતિમાં હાલમાં ગામડે-ગામડે માંદગીના બિછાના પથરાયા છે અને લોકોને કોરોનાના કારણે સારી હોસ્પિટલમાં સારવાર કે દાખલ કરાતા ન હોય નાના ક્લિનિકમાં સારવાર માટે જવું પડે છે અને નાના સેન્ટરમાં 10 ફૂટ બાય 10 ફૂટના ક્લિનિકમાં મોટી સંખ્યામાં દર્દીને બાટલા ચડાવવાની સારવાર ઉપલબ્ધ ન હોય હોટેલના છાપરામાં અને ગામના પાદરમાં વૃક્ષના છાંયે સુવડાવી સારવાર કરવાની નોબત આવી છે.

- text

આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોના મૂળ સુધી પહોંચતા મોરબી અપડેટ સમક્ષ સાચી હકીકત બહાર આવી હતી. આ વિડીયો વાંકાનેરથી 10 કિલોમીટર દૂર આવેલ પલાસ ગામે ક્લિનિક ધરાવતા ડો.ભીમાણી અને ડો.રાજપરાના ક્લિનિક બહારનો હોવાનું અને ખાસ કરીને વાયરલ તાવના કેસમાં તીવ્ર ઉછાળો આવતા પલાસ ગામમાં અનેક લોકો બીમાર પડ્યા હોય આ લોકોને વૃક્ષની ડાળીમાં બાટલા લટકાવી શક્તિના બાટલા ચડાવવામાં આવ્યા હતા અને આ દર્દીઓમાં કોરોનાના કોઈ દર્દી ન હોવાનું તબીબી આલમમાંથી જાણવા મળ્યું છે.

- text