હળવદ પંથકમાં વગર ચોમાસે તળાવ છલકાયું : ખેડૂતોને ખેતરે જવું મુશ્કેલ

- text


મયુરનગરમાં નર્મદા ઓથોરિટીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી : પેટા કેનાલના પાણી રોડ પર વહેવા લાગ્યા

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ તાણાસર તળાવમાં પેટા કેનાલનું પાણી વધુ માત્રામાં આવતું હોવાને કારણે તળાવ ભરશિયાળે છલકાયું છે. જેના કારણે ખેડૂતોને ખેતરે જવાના સાડા ત્રણ કિલોમીટરના રસ્તા પર પસાર થવું મુશ્કેલ બન્યું છે. હાલ તો હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે જે બંધ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

મયુરનગરથી તાણાસર તળાવ સુધીના રસ્તા પર 50થી વધુ ખેડૂતોની જમીનો આવેલી છે. જેથી હાલ ખેડૂતોને રાત્રે પાકને પાવા અને દિવસે કામ કરવા જતા હોય છે પરંતુ ટીકર પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાંથી મયુરનગર તરફ આવતી પેટા કેનાલમાં હાલ પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં છોડાતા કેનાલ છલકી રહી છે. સાથે-સાથે આ પાણી તાણાસર તળાવમાં આવતું હોય જેથી તળાવ પણ હાલ છલકાઈ ગયું છે. જેના કારણે ખેડૂતોના વાડીએ જવાના રસ્તા પાણીમાં તરીને જવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

- text

હાલ ખેડૂતોને ખેતરે જવું મુશ્કેલ તો બન્યું છે સાથે જ હજારો લિટર પાણી પણ વેડફાઇ રહ્યું છે જેથી નર્મદા કેનાલના અધિકારીઓ વહેલી તકે વેડફાતુ પાણી બંધ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આ પેટા કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરી દેવામાં આવતો હોય છે. જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત હોતી નથી તેવા સમયે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ છોડવામાં આવતો હોય છે સાથે જ આ પેટા કેનાલ સાફ કરવામાં ન આવી હોય જેના કારણે પણ કેનાલ છલકાઈ રહી છે.

- text