ૐ નમ: સીતારામાભ્યામ્ : લક્ષ્મીજીના અવતાર માતા જાનકી ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક પ્રતીક છે

- text


સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી : સીતાજીનાં પૂર્વજન્મનું નામ વેદવતી હતું

મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વૈશાખ સુદ નવમી એટલે કે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના ધર્મપત્ની માતા સીતાનો પ્રાગટ્ય દિવસ છે. સીતાજી ભગવાન રામના પત્ની તથા લક્ષ્મીનો અવતાર મનાય છે. જનકનંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવે છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે.

વેદમાં સીતાજી કૃષિની દેવી મનાઈ છે. ‘સીતા’ શબ્દનો અર્થ થાય, હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી. વાલ્મીકિ રામાયણ તેમજ બીજી રામકથાઓ પ્રમાણે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ.

સીતાજીના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે, “સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો”. ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. પાછળથી લખાયેલાં રામાયણો જેવો કે અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, અઘ્યાત્મ રામાયણ વગેરેમાં તો સ્પષ્ટ રીતે જાનકી માતાની આદ્યશકિત કે દેવી શકિત રૂપે પ્રતિષ્ઠા થઈ છે. આનંદ રામાયણમાં સીતાના અનેક જન્મો અને સ્વરૂપો બતાવ્યાં છે. વિશ્વંભર નામના ઉપનિષદમાં ‘ૐ નમ: સીતારામાભ્યામ્’ એ મંત્રનો મહિમા બતાવ્યો છે.


માતા સીતાના પૂર્વ જન્મની કથા

સીતાજીનાં પૂર્વજન્મનું નામ વેદવતી હતું. રાજા કુશઘ્વજની પત્ની માલવતીથી લક્ષ્મીનાં અંશરૂપે પુત્રી જન્મી અને જન્મતાં જ તે વેદમંત્રો ઉરચારવા લાગી. તેથી તેનું નામ પાડયું વેદવતી. એકવાર વનમાં તપ કરતી વેદવતી ઉપર રાવણ મોહિત થયો. વેદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો ને પોતે યોગની અગ્નિમાં વિલીન થયાં. આ વેદવતી જ બીજા જન્મમાં જનકનંદિની જાનકી રૂપે પ્રખ્યાત બન્યાં, ને એના નિમિત્તે રાવણનો સંહાર થયો.

- text


માતા જાનકીનું જીવન ચરિત્ર

માતા સીતાજીના ઉજજવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ ‘પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિ પરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રતની કસોટી થાય છે. સીતાના ચરિત્રમાં નારી-સુલભ વૃત્તિઓ પણ જણાય છે. સુવર્ણમૃગ પ્રસંગમાં નારીસહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે. રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં કયાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં ‘અતિથિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા, શીલ, સમર્પણ અને સહન શીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારીજીવનનો આદર્શ સીતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે.


ભારતીય લોકસંસ્કૃતિમાં સીતાજીનું મહત્વ

ભગવાન રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદા પુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે. ભક્તિયુગમાં પ્રેમલક્ષણા ભકિતનો પ્રભાવ સીતા-રામ પ્રત્યેની ભકિત ઉપર પણ પડયો અને એના પરિણામે સત્તરમી સદીમાં ‘રામરસિક સંપ્રદાય’ અસ્તિત્ત્વમાં આવ્યો. આ સંપ્રદાયને જાનકીવલ્લભ સંપ્રદાય અને જાનકી સંપ્રદાય જેવાં બીજાં પણ નામોથી ઓળખવામાં આવે છે.


 

- text