- text
રેલતંત્રની બાબુશાહી સામે સોશિયલ મીડિયામાં આક્રોશ ઉઠતા રેલવે તંત્ર દોડતું થયું
મોરબી : વાંકાનેર રેલવે સ્ટેશન પરથી આરએસએસ સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયાએ ૭.૦૫ વાગ્યાની ટ્રેન ૨ કલાકથી વધુ સમય મોડી હોય તે અંગેનાં સમાચાર ટ્વીટર પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે, વાંકાનેર સ્ટેશન પર ૨૨૯૬૦ નંબરની ટ્રેન મોડી હોવા છતા પ્લેટફોર્મ પર રેલવે વિભાગ તરફથી આ અંગે કોઈ સુચના જાહેર કરવામાં આવી નથી. જેથી પોતાના સહિત અન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટ્વીટ ભારતનાં રેલવે મીનીસ્ટર સુરેશપ્રભુ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને ટેગ કરવામાં આવ્યું હતું. આ અંગે મોરબીનાં ડો. હિરેનભાઈ પારેખે પણ રાજકોટ DRMને ટ્વીટ કરી રેલવે તંત્રને બાબુશાહીનો અડ્ડો ગણાવી ૨ કલાક મોડી ટ્રેન અંગે વાંકાનેર સ્ટેશન પર કોઈ પ્રકારની સુચના જાહેર ન કરવામાં આવતા લોકોનાં સમય બરબાદ થવા અને નબળા વહિવટી તંત્ર વિષયક પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. બંને જાગૃત નાગરિકોએ રેલવેના ખામીયુક્ત વહીવટની સોશિયલ મીડિયા પર ફરિયાદ સામે રેલવે તંત્રએ પણ તાકીદે પ્રતિક્રિયા આપી હતી. જેમાં મોરબીના ડો. જયંતીભાઈ ભાડેસીયા અને ડો. હિરેશભાઈ પારેખનાં ટ્વીટ પર તાત્કાલિક રાજકોટ ડીઆરએમએ ખુલાસો આપતા રીટ્વીટ કરી પોતાનાં કર્મચારીઓને સમયાંતરે પ્લેટફોર્મ પરથી સૂચનાઓ આપવા સૂચવ્યું હતું. ડીઆરએમનાં ટ્વીટ મુજબ, દરેક કર્મચારીને કડકપણે પોતાનું કાર્ય કરવા સૂચવ્યું છે અને દરેક ટ્રેનનો સમય અને જરૂરી સુચના નક્કી કરેલા સમયે જાહેર થતી રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્રની બેદરકારીનો ભોગ વારંવાર આમ જનતાએ બનવું પડતું હોય છે ત્યારે જાગૃત લોકોથી તંત્ર પોતાની જવાબદારીથી વાકેફ થઈ કામ કરવા પ્રેરાઈ તે સરાનીય બાબત છે.
- text