મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સિલ્વર જયુબિલીની ધમાકેદાર ઉજવણી કરાઈ

- text


મોરબી : તા. 27-10-2024 ને રવિવારના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબીના 25 પૂર્ણ થતાં સિલ્વર જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1999થી આ સંસ્થા મોરબીમાં કાર્યરત છે. આ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફમિત્રોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમ પટેલ સમાજ વાડી શનાળા મુકામે યોજાયો.

સંસ્થાની જુદી- જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સ્ટાફે જૂના મિત્રોને મળી હર્ષના હેલાળે ચડ્યા અને સંસ્મરણો તાજા કર્યા હતા. પોતાના ફેવરિટ ટીચર, પોતાના શૈક્ષણિક પ્રવાસની મજા, ફંકશનમાં કરેલ સમૂહ પ્રવૃતિ, પોતાને થયેલી શિક્ષા, હાલ કઈ પોસ્ટ પર છે જેવી માહિતી ઓપન માઈકના માધ્યમથી આપી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સ્નેહ મિલન ગોઠવ્યું એ બદલ પી.ડી. કાંજીયા અને સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ તકે ઉચ્ચ હોદા મેળવેલા, પોતાની કુનેહથી નવા ક્ષેત્રમાં ખેડાણ કરનાર, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, કલા ક્ષેત્રમાં, સરકારી વહીવટી તંત્રમાં, આરોગ્ય ક્ષેત્રે, સરંક્ષણ ક્ષેત્રે આગળ આવેલ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પધારેલા સર્વેને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેકે સાથે ભોજનનો આનંદ લીધો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text