- text
મોરબીમાં સફાઈના નામે મીડું હોવાનો કાન્તિલાલ બાવરવાનો આરોપ
મોરબી : મોરબી શહેરને ગંદકી મુક્ત અને સફાઈ યુક્ત બનાવવા માટે પ્રાધાન્ય આપવામાં આવે તેવી રજૂઆત રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ કલેક્ટર સમક્ષ કરી છે.
રજૂઆતમાં કાન્તિલાલ બાવરવાએ જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ થયાને ઘણો સમય થઈ ગયો છે. સરકાર તરફથી કોર્પોરેસન બનાવીને ચૂંટણી આપવામાં નથી આવી રહી. જેનાથી મોરબીની જનતાને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો હક્કથી વંચિત રાખવાનો ઈરાદાપૂર્વકનો ખેલ ખેલવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેનો જવાબ પ્રજા માંગી રહી છે. મોરબીની હાલની સ્થિતિ ગંભીર છે. સફાઈના નામે મીંડું છે. ઠેર ઠેર ગટરો ઉભરાય છે. ચોમેર ગંદકી ફેલાયેલી છે. શહેરમાં રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે. છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
- text
મોરબી શહેરમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો ત્રાસ છે. જેના કારણે ટ્રાફિકજામથી લોકો પરેશાન થઈ ગયા છે. મોરબી શહેરની સ્થિતિ નર્કાગાર જેવી થઈ ગઈ છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નગરપાલિકા શહેરની સફાઈ ક્યારે કરશે ? તે મોટો પ્રશ્ન છે. લોકોમાં ધારાસભ્યની કામગીરી સામે પણ રોષ છે. તેથી તાત્કાલિક મોરબી શહેરને આ તમામ સમસ્યામાંથી મુક્ત કરાવવામાં આવે તેવી માગ કલેક્ટર સમક્ષ કરાઈ છે. જો આ અંગે કામગીરી કરવામાં નહીં આવે તો જાહેર જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.
- text