- text
શિક્ષકે ભાગીદારીમાં ચાલતા ધંધા માટે 50 લાખ વ્યાજે લીધા હતા
મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા શિક્ષક નોકરી બાદ સેલ્સ એજન્સીનો ધંધો કરતા હોય નાણાંની જરૂરત પડતા બે વ્યાજખોરો પાસેથી મહિને 10 ટકા ઉંચા વ્યાજે લીધેલ રૂપિયા 50 લાખનું વ્યાજ ચૂકવી ન શકતા બે વ્યાજખોરો અને અન્ય એક શખ્સે શિક્ષકના ઘેર જઈ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી શિક્ષક તેમજ તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા હરેશભાઇ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઇ વડગાસીયા નોકરી બાદના સમયમાં સેલ્સ એજન્સી ચલાવતા હોય ધંધા માટે મોરબીના આરોપી ધર્મેન્દ્ર રાઠોડ પાસેથી 30 લાખ અને વિરપર ગામના આરોપી ગોપાલ ગજેન્દ્રભાઈ ભટ્ટ પાસેથી રૂપિયા 20 લાખ મહિને 10 ટકા વ્યાજ લેખે લીધા હતા.
- text
જો કે, ફરિયાદી હરેશભાઇ ઉર્ફે હિરેનભાઈ નિયમિત વ્યાજ ચૂકવી નહિ શકતા આરોપી ધર્મેન્દ્ર રાઠોડ, ગોપાલ ગજેન્દ્ર ભટ્ટ અને આરોપી માલદે બાબુભાઇ આહીર નામના શખ્સ ગત તા.11ના રોજ હરેશભાઇના રાજપર ગામે આવેલ ઘેર ગયા હતા અને બળજબરીથી વ્યાજ અને મુદલની ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા હરેશભાઇના ભાઈ મનીષભાઈ વચ્ચે પડતા ત્રણેય આરોપીઓએ બન્ને ભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી ચાલ્યા જતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text