મોરબી : મોરબીના સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ઝડપથી એરપોર્ટ ચાલુ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીને એરપોર્ટ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી સમયે વાયદાઓ કરીને પછી કામ આગળ વધારવામાં આવતું નથી. જેથી પ્રજાને લોલીપોપ આપીને મુર્ખ બનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોરબી શહેરમાં આઝાદી પહેલા એરપોર્ટ હતું. મોરબી સિરામિક ઉદ્યોગના માધ્યમથી દેશ-વિદેશના ઘણા શહેરો સાથે જોડાયેલું છે. ત્યારે ઝડપથી એરપોર્ટ શરૂ થાય તો સિરામિક ઉદ્યોગને ફાયદો થઈ શકે તેમ છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેમ જણાવાયું હતું.