વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે નાટક યોજાયું, 32.85 લાખનો ફાળો એકત્ર

- text


ટંકારા : આજના આધુનિક યુગમાં નાટ્યકલા વિસરાઈ રહી છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નાટ્યકલા આજે પણ જીવંત રહી છે. ખાસ કરીને નવરાત્રીથી દિવાળી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ગૌશાળાના લાભાર્થે ગામડાઓમાં ઐતિહાસિક નાટકો ભજવાય છે. જેમાં વિરપર ગામે યોજાયેલા નાટકમાં રૂ.32.85 લાખનો ફાળો એકત્ર થયો હતો.

મોરબીના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળા ચાલે છે. આ ગૌશાળાના નિભાવ માટે વર્ષોથી નવરાત્રિથી લઈ દીપાવલીના પર્વ સુધી ગામે ગામ ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નવરાત્રીમાં મોટાભાગના ગામોમાં ગાયોના ઘાસચારા માટે નાટક ભજવાય છે. નાટકો ભજવવા પાછળનો મૂળ ઉદેશ્ય ગૌસેવા છે. સાથે સાથે મનોરંજન માટે પણ નાટકો યોજાઈ છે. નાટકની સાથે હાસ્ય કોમિક યોજીને લોકોને પેટ પકડીને હસાવે છે. નળ દમયંતી યાને દમયંતીનો સ્વયંવર સહિતના ઐતિહાસિક નાટકો ભજવીને નવી પેઢીને એ સમય ઇતિહાસની પણ જાણકારી મળી રહે છે.

ટંકારાના વિરપર ગામે ગામડાના સેવાભાવી ગૌસેવક મિત્ર મંડળ દ્વારા પોતાના ગામડાની ગાય ક્યારેય કતલખાને નહી જાય તેવા સંકલ્પ સાથે ગામડામા 23 વર્ષ પૂર્વે કામધેનુ ગૌ આશ્રમ શરૂ કરવામાં આવેલ છે. અહીંયા આશ્રિત લુલી, લંગડી અને નધણીયાતા ગૌધનને નિભાવવા માટે ગામડાના યુવાનો દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો ભજવી ફંડફાળો એકઠો કરીને સરાહનીય સેવા કરે છે. ગૌસેવા કાજે શરૂ કરાયેલી ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા મુજબ આ વખતે નળ દમયંતી યાને સ્વયંવર અને સાથે પેટ પકડીને હસાવતુ કોમિક લખણ ખોટો નભલો ને શ્રવણ જેવો જીવણ રજુ કરવામાં આવ્યું હતું. નાટક તેમજ કોમિક નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનોને ઉપસ્થિત રહ્યા હતા. ગૌ માતાની ચાકરી અને જતન માટે યોજાતા પૌરાણિક ધાર્મિક ગ્રંથો અને ઈતિહાસની કથા પ્રમાણેના નાટકોમાં પાત્રો પણ સ્વયં સેવકો ખૂદ વ્યવસાયે નટ ન હોવા છતા બખૂબી ભજવી પોતાની કલાના જોરે દર્શકોને ભરપુર આનંદ પિરસી સ્વૈચ્છિક સખાવત કરવા રીઝવી દાતાઓની દિલેરીથી ફંડ એકઠુ કરે છે. આ વખતે એક બાદ એક દાનની સરવાણી વરસાવી હતી. જ્યાં એક જ રાતમાં પ્રેક્ષકો તરફથી કુલ 32.85 લાખનો ફાળાનું અનુદાન પ્રાપ્ત થયું સંપૂર્ણ રકમને ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.

અહીં હાલ 136 જેટલી લુલી લંગડી અને નધણીયાતી ગાયો આશ્રય લઈ રહી છે. ગૌ સેવા માટે કદી ક્યાંય હાથ લંબાવ્યા વગર વર્ષમા એક વખત નવરાત્રી દરમિયાન ધાર્મિક ગ્રંથો અને ઈતિહાસની કથા મુજબના ઐતિહાસિક નાટકો યોજી ગામડાના યુવાનો કામધંધા છોડી એકાદ માસ સુધી પાત્રના રિહર્સલ કરી તૈયારી કરે છે.ગૌસેવક મિત્ર મંડળ દ્વારા જણાવેલ કે આવેલ દાન સંપૂર્ણ ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.

- text

- text