- text
મોરબી : રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે નવી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે કેળ (ટીસ્યુ), પપૈયા, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય, નેટ હાઉસ નળાકાર સ્ટ્રકચર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, ઈન્ટીગ્રેટેડ કોલ્ડ ચેન મેનેજમેન્ટ, મધમાખી સમુહ તથા મધમાખી હાઈવ, હની એક્ષ્ટ્રેક્ટર તેમજ અન્ય બીજા ઘટકોમાં સહાય મેળવવા માટે ઈચ્છુક ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.
- text
ઉપરોક્ત જણાવેલ યોજનાઓ થકી લાભાન્વિત બનવા માટે આગામી તારીખ 15/10/2024 સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો ઉપરોક્ત ઘટકોમાં સહાય મેળવવા માટે http://ikhedut.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે નવા 7-12, 8- અ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુક/ રદ કરેલ ચેકની નકલ, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુસૂચિત જાતિ માટે) વગેરે સાથે જોડીને રૂબરૂ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી- આ સરનામાં પર તાત્કાલિક ધોરણે મોકલી આપવાનું રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text