મોરબી-હળવદ હાઇવે ઉપર નડતરરૂપ મંદિર-દરગાહ સહિતના દબાણો હટાવાયા 

- text


માંડલ નજીક એક દરગાહ અને મંદિર તેમજ ઘુંટુ પાસે બે મંદિર ઉપરાંત દસેક દુકાનો પણ તોડી પડાઈ 

મોરબી : હળવદ – મોરબી ફોરલેન હાઇવે પ્રોજેક્ટની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે મોરબીથી માંડલ વચ્ચેના રસ્તાના કામમાં ધાર્મિક દબાણો તેમજ કોમર્શિયલ બાંધકામ નડતરરૂપ હોવાથી મોરબી માર્ગ અને મકાન વિભાગે પોલીસ સહિતના તંત્રને સાથે રાખી 3 મંદિર, એક દરગાહ સહિતના અનેક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

મોરબી -હળવદ ફોરલેન હાઇવે પ્રોજેક્ટમાં ઉંચી-નીચી માંડલથી લઈ મોરબી સુધીમાં રસ્તાના કામમાં નડતરરૂપ અનેક દબાણો આવેલ હોવાથી અગાઉ બબ્બે ત્રણ-ત્રણ નોટિસો આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા મોરબી માર્ગ અને મકાન વિભાગે ઉંચી-નીચી માંડલથી લઈ મોરબી સુધીના ફોરલેન હાઇવે પ્રોજેક્ટમાં નડતર રૂપ દસથી વધુ દબાણોનો કડૂસલો બોલાવી દીધો હતો.

આ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, માંડલથી મોરબી સુધીના હાઇવે ઉપર માંડલ નજીક એક દરગાહ, એક મંદિર તેમજ ઘુંટુ નજીક હાઈવેને નડતરરૂપ બે મંદિર ઉપરાંત દસેક જેટલી દુકાનો સહિતના દબાણો જુદા-જુદા તંત્ર અને પોલીસને સાથે રાખી હટાવવામાં આવ્યા હતા. મોરબી -હળવદ હાઇવે ઉપરના દબાણ દૂર થતા હવે ફોરલેન હાઇવે પ્રોજેક્ટ ગતિમાન બનશે.

- text

- text