Thank You Pharmacist : દવાના સંશોધનથી શરૂ કરીને તેના નિર્માણ અને વિતરણ સુધીની જવાબદાર વ્યક્તિ એટલે ફાર્માસિસ્ટ

૨૫ સપ્ટેમ્બર : વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે : ફાર્માસિસ્ટ લોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનારા, પડદા પાછળના હીરો છે

મોરબી : આપણામાંથી ઘણા લોકોને એ નહિ ખબર હોય કે આરોગ્ય વિભાગની સેવામાં જોડાયેલો પડદા પાછળનો સાચો હીરો એટલે ફાર્માસિસ્ટ. દર્દીઓનું દર્દ જાણીને તેની સાચી દવા, સાચા સમયે, સાચી માત્રામા જરુરી માર્ગદશન સાથે પહોંચાડનાર વ્યક્તિ જ નહીં પરંતુ હેલ્થ કેર સીસ્ટમમાં નવા રોગોની ઓળખ કરીને દર્દીઓને એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ વિષે યોગ્ય સલાહ અને માહીતી આપી હેલ્થકેર સીસ્ટમના પાયાના ભાગ રૂપે વર્ષોથી કામગીરી કરનાર વ્યક્તિ એટલે ફાર્માસીસ્ટ.

જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો દવાખાને જાવું છે, ત્યારે આ “દવાખાનું” શબ્દમાં જ સંકળાયેલો “દવા” શબ્દ જ તમને ફાર્માસિસ્ટની ઓળખાણ આપે છે. કેમ કે આ દવાના સંશોધનથી શરૂ કરીને તેના નિર્માણ અને વિતરણ સુધીની જવાબદાર વ્યક્તિ એટલે જ ફાર્માસિસ્ટ.

આ ઉપરાંત, કોરોના મહામારીમાં પણ જરૂરી લોજીસ્ટીક જેવાકે માસ્ક, સેનીટાઈઝર, પી.પી.ઈ. કીટ, ગ્લોવ્ઝ વગેરે અને જેનાથી ઘણી મહામુલ્ય જિંદગીઓ બચાવી શકાઇ છે, તેવી જરૂરી દવાઓ, ઈન્જે. રેમડેસીવીર, ઈન્જે. એમ્ફોટેરીસીન વગેરે લોકોને સમયસર મળી રહે તે માટે અડધી રાતે પણ ફાર્માસિસ્ટસ ઉત્તમ કામગીરી બજાવી હતી.

આ તમામ કામ ઉપરાંત હોસ્પિટલ ચલાવવા માટે રોજબરોજની જરૂરી દવાઓ તથા મમતા દિવસ માટેના જરૂરી વેક્સીનનું મેનેજમેન્ટ કરવું તેમજ તેમની યોગ્ય જાળવણી કરી રેકોર્ડ રજીસ્ટર નિભાવવાની સાથે સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને દવાઓ આપવી અને દવાઓ વિષે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની કામગીરી પણ સુપેરે કરે છે.

સરકારશ્રી દ્વારા ચાલતા આરોગ્યના બીજા ઘણા પ્રોગ્રામ
જેવાકે, ટી.બી., લેપ્રોસી, રસીકરણ, આઈ.ડી.એસ.પી, થેલેસેમિયા, કુટુંબ નિયોજન વગેરે જેવા મહત્વના પ્રોગ્રામની તમામ દવાઓનું મેનેજમેન્ટ કરવાનું અને આ તમામ પ્રોગ્રામના ઓનલાઈન સોફ્ટવેરનું સંચાલન કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ તમામ માહિતી પૂરી પાડવાનું કામ પણ ફાર્મસિસ્ટસ દ્વારા કરવામાં આવે છે.

‘‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’’ નિમિત્તે એટલી અપેક્ષા તો જરૂર રહે કે જ્યારે પણ હોસ્પીટલ જાવાનું થાય ત્યારે લોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર આ પડદા પાછળના સાચા હીરો ફાર્માસીસ્ટને ‘‘થેંક્યું’’ કહેવાનું ભુલશો નહિ.


વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેનો ઈતિહાસ

દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમા ‘‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’’ ઉજવવામા આવે છે. આ દિવસે વિશ્વના તમામ દેશોમાં આરોગ્યલક્ષી કામગીરીમાં ફાર્માસિસ્ટની ભૂમિકાને પ્રોત્સાહન અને હિમાયત કરતી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) ફાર્માસિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વૈજ્ઞાનિકોનું રાષ્ટ્રીય સંગઠનોનું વૈશ્વિક મહાસંઘ ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૨ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી ૨૫ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે.