મહાત્મા ગાંધી ઉ. બુ. વિદ્યાલય, જોધપર (નદી) ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત – વિજ્ઞાન જેવા વિષયોમાં રસ રુચિ વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન”નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવ્યા હત. મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. જે અનુસંધાને તા. 21 સપ્ટેમ્બર ને શનિવારના રોજ મહાત્મા ગાંધી ઉ. બુ. વિદ્યાલય, જોધપર (નદી) ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 31 કૃતિમાં કુલ 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં 2 નિવૃત શિક્ષક સી. એચ. ઠોરીયા અને કિરણબેન મહેતાએ નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.

આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે 350 વિદ્યાર્થીઓ આવ્યા હતા. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જોધપર ગામના અગ્રણીઓ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ. પી. સરસાવાડિયા તથા અધ્યક્ષ એલ. વી. કગથરા દ્વારા વિજ્ઞાન પ્રદર્શન રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય પ્રગ્નેશભાઈ એસ. પટેલ તથા તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન SVS કન્વીનર સંજીવભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text