ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું

- text


પીઓપીની મૂર્તિ બનાવવા અને ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન કરવા સહિતના પ્રતિબંધ લાદવામાં આવ્યા 

મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થવાની છે. ત્યારે આ ઉજવણીને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં તા.7-9-2024ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી કરે છે. ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલા ગણેશજીની મૂર્તિઓને સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમાં દિવસે અને સાતમા દિવસે મોટા ભાગના ભાવિકો દ્વારા મૂર્તિઓના વિસર્જન સરઘસ કાઢી ગણેશજીની મૂર્તિઓને તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવે છે.

મૂર્તિઓના વિસર્જનથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ તેમજ સરકારથી દ્વારા પાડવામાં આવેલા ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલી ગાઈડ લાઈનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવ નિમિતે મૂર્તિ સ્થાપના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી/કુદરતી જળ સ્ત્રોતોમાં થતું પ્રદુષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.

- text

જાહેરનામા અનુસાર, ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. મૂર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણીના ઉપયોગ માટે લેવાના જળસ્ત્રોનો જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ વિસર્જન કરવું નહીં. મૂર્તિકારો જે જગ્યાઓ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં.

ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલી અથવા ખંડીત થયેલી મૂર્તિઓને સ્થાપના બાદ બિનવારસી હાલતમાં મુકવી નહી. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવી, ખરીદવી કે વેચવી તેમજ સ્થાપના કરવી નહીં. ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા નહીં. મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવી નહી.

સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં. સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સરઘસ કાઢવા નહીં. આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત 12 (બાર) ફુટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ 15 (પંદર) ફુટથી વધારે રાખવી નહી.

જાહેરનામા મુજબના પ્રતિબંધાત્મક હુકમો તા. 17-9-2024 સુધી અમલમાં રહેશે. આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

- text