- text
હવે બાકી રહેતા 17 ગામોમાં વીજ પુરવઠો સત્વરે શરૂ કરાશે : વીજ પોલ અને તૂટેલા તાર રીપેર કરવા કામગીરી
મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. ગઈકાલે મોરબી જિલ્લાના 46 ગામોમાં અંધારપટ્ટ છવાયા બાદ આજે 29 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને બાકીના 17 ગામોમાં પણ સત્વરે વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જન જીવન ખોરવાયું હતું. વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના 127 જેટલા ફીડરો બંધ થઈ જતા 46 ગામોમાં વીજળી ગુલ થઇ હતી. જો કે, ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. આજ સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
જે સ્થળોએ વોટર લોગિંગના કારણે વીજ પુરવઠો શરૂ કરી શકાયો નથી અને ખાસ કરીને માળીયા વિસ્તારના ગામોમાં જ્યાં પાણીના ભારે પ્રવાહના કારણે વીજપોલ ધરાશાઈ થતા તેમજ વીજતાર તૂટી જતા જે વીજ પુરવઠો ખોરવાયો હતો તેને પણ હાલ ફરી શરૂ કરી દેવા માટેની જહેમત કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.સાથે જ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ થાંભલાઓ ઉભા કરી વીજ તાર જોડીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
- text
- text