મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખતીને મોટાપાયે નુકશાન, તાત્કાલીક સર્વે કરવા મંત્રીનો અધિકારીઓને આદેશ

- text


મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અન્વયે અધિકારીઓને ખેતીની નુકશાની અને પશુ મૃત્યુનો તાકીદે સર્વે કરવા સૂચનાઓ આપી

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખાનાખરાબી સર્જાઇ છે. ખાસ કરીને ભારે વરસાદના કારણે જિલ્લામાં ખેતરોમાં ધોવાણ અને પાણી ભરવાના કારણે ખેતીને મોટાપાયે નુકશાન થયું છે. ત્યારે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ તેમજ વિસ્તારોની મુલાકાત દરમિયાન ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં ખેતીમાં નુકસાન તથા પશુ મૃત્યુ અંગે તાત્કાલીક સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ બે દિવસથી મોરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે, ત્યારે મંત્રીએ આજે માળીયા તાલુકામાં માળીયા અને ફતેપર ગામની મુલાકાત લઈ પુર દરમિયાન ત્યાંની સ્થિતિ અને હાલની સ્થિતિ અંગે નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મંત્રીએ આ મુલાકાતમાં સ્થાનિક લોકો સાથે તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોએ લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવી પૃચ્છા કરી હતી.

મંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને વીજ પુરવઠો પૂર્વવત કરવા તથા ખેતીમાં થયેલી નુકસાન તેમજ પશુમૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરી મળવાપાત્ર સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

- text

આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, માળીયા મામલતદાર કે.વી. સાનિયા સહિતના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text