મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા જ શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઢોર માલિકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે મોરબીના સામાકાંઠા સહિતના તમામ વિસ્તારમાં આજે પણ રખડતાં ઢોરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઢોરનો ત્રાસ આજે પણ યથાવત છે. રખડતાં ઢોરના ત્રાસના કારણે અહીંયા અવાર નવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી તો છે પરંતુ સામાકાંઠા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે રસ્તા પર રખડતાં ઢોર જોવા મળે છે. ત્યારે આ અંગે પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલે માગ કરી છે.આ ઉપરાંત મોરબીનાં તમામ મુખ્ય માર્ગો અને હાઇવે પર હજુ પણ રઝળતા ઢોરનો અડીંગો યથાવત રહ્યો છે. ત્યારે ઢોર પકડ કમગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.