બે વર્ષ પહેલા ગ્રામ પંચાયત મળી પણ બસનો સ્ટોપ હજુ ન મળ્યો : ગ્રામ પંચાયતે ડેપો મેનેજરને કરી રજુઆતમોરબી : સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સેવા પૂરી પાડવા એસટી બસો દોડાવે છે. પણ નફા પાછળની દોડમાં એસટી મેનેજમેન્ટ ગ્રામ્ય વિસ્તારોને ભૂલી રહ્યું હોય તેવો ઘાટ માળિયા મિયાણા તાલુકામાં સર્જાયો છે અહીં વિશાલનગર ગામે વર્ષોથી એસટી બસનો સ્ટોપ જ નથી.વિશાલનગર ગ્રામ પંચાયતે એસટી ડેપો મેનેજરને રજુઆત કરી છે કે તેઓના ગામેથી દરરોજ વિદ્યાર્થીઓ મોરબી અપડાઉન કરે છે. આ ઉપરાંત ગ્રામજનો પણ મોરબી કામ માટે અવર-જવર કરે છે. અહીં બસો સુલતાનપુર આવે છે. વિશાલનગર સુલતાનપુર ગામ પહેલા આવે છે. લોકોને એક કિલોમીટર સુધી ચાલીને ત્યાં જવું પડે છે. ત્યાંથી બસમાં બેસવું પડે છે. તો તાત્કાલિક બસ શરૂ કરવામાં આવે તેવી માંગ છે.ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પૂર્વે સરકારે સુલતાનપુર તાબાના વિશાલનગર ગામને અલગ ગ્રામ પંચાયત આપી હતી. ત્યારે એસટી બસની સુવિધા મળી રહે તે માટે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ લગત અધિકારીઓને આદેશ પણ કર્યો હતો. પણ કમનસીબે હજુ સુધી અહીંના લોકોને બસ પકડવા માટે સુલતાનપુર સુધી લંબાવું પડે છે.