બ્રિજેશ મેરજાના સ્વર્ગસ્થ પુત્રની સ્મૃતિમાં ચમનપર ગામે ડો. પ્રશાંત બાગનું નિર્માણ કરાયું

- text


ચમનપર ગામે ડો. પ્રશાંત બાગમાં 3500થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના સ્વર્ગસ્થ પુત્ર ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં તેમના વતન માળિયા (મિ.) તાલુકાના ચમનપર ગામમાં ડો. પ્રશાંત બાગનું નિર્માણ કરી 3500થી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે.

ચમનપર ગામના સરપંચ શીતલ જગદીશ ચારોલા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા તેમજ તેમના ધર્મપત્ની સુશીલાબેન મેરજા ખાસ ઉપસ્થિત રહી ગ્રામજનોને પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના” એક પેડ મા કે નામ ,’ સંકલ્પને સાકાર કરવા ગામના પ્રત્યેક ગ્રામજનોએ મોટી સંખ્યામાં સ્વજનોના નામે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વન અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય ઉપસ્થિત આગેવાનો તેમજ અધિકારીઓએ વૃક્ષનું મહત્વ સમજાવી ચમનપરના આ કાર્યની પ્રશંસા કરી હતી. આદર્શ યુવક મંડળના પ્રમુખ છગનભાઈ અઘારાએ ચમનપર બહાર વસતા ગામ લોકો તરફથી મળતા સહકારની પ્રશંસા કરી હતી. તેમજ ડો. પ્રશાંત બાગ નામાભિધાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગામના પનોતા પુત્ર બ્રિજેશ મેરજાએ ભાવવિભોર વાણીમાં જન્મભૂમિના અનેક સ્મરણો સાથે ચમનપર ગામના ગ્રામજનોની ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ જગદીશભાઈ અઘારા, મનીષ વાઘડીયા, મનસુખ છત્રોડા, વલમજી ચારોલા, અશ્વિન ભીમાણી, સુનીલ અઘરા, પ્રવીણ કાવર, ગિરીશ હિરાણી, જગદીશ ભટ્ટી, રમેશ ગોઠી, તલાટી કમ મંત્રી હેતલબેન ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 500ની વસ્તી ધરાવતા આ નાનકડા એવા પ્રગતિશીલ ગામ ચમનપરમાં ડો પ્રશાંત બાગ, ઈશ્વર વન થકી હરિયાળી લહેરાવાનું એક સ્તુતિય પગલું ભરી ગામનું નામ રોશન કર્યું છે.

- text

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જગદીશભાઈ અઘારાની ટીમએ કર્યું હતું. તેમજ કાર્યક્રમનું સંચાલન ગોર મહારાજ પંડ્યાએ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્વે બ્રિજેશ મેરજાએ ચમનપરમાં આવેલા મારુતિ ધામ, સ્વામિનારાયણ મંદિર, રામ દરબાર, ચોરા મંદિરે દેવ દર્શન કર્યા હતા. તેમજ નવનિર્મિત પામી રહેલા શિવાલયના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.

- text